વર્ષ 1971માં ઈરાનના રામસરમાં કેસ્પિયન સમુદ્રના કિનારે રામસર સંમેલન યોજાયું હતું. જે આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ્સ પરના કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યાની વર્ષગાંઠની યાદમાં વિશ્વભરમાં 2 ફેબ્રુઆરીએ વિશ્વ વેટલેન્ડ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ વેટલેન્ડ્સ અને પૃથ્વી પર તેઓ ભજવતી ભૂમિકા વિશે વૈશ્વિક સ્તરે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર World Wetlands Day ઉજવવામાં આવે છે.
વેટલેન્ડ્સ એટલે શું ?
જે ભૂમિ ભાગમાં કે વિસ્તારમાં કાયમી કે પછી અમુક સિઝન પુરતુ પાણી ભરાઈ રહેતું હોય તેને વેટલેન્ડ્સ કહેવાય છે. અહીં એક પ્રકારની ઈકો સિસ્ટમ વિકસિત થાય છે. પાણીમાં થતી વનસ્પતિઓ આવા વિસ્તારમાં ઉગે છે અને તેના કારણે ઘણાં યાયાવર પક્ષીઓ પણ આવા વિસ્તારમાં આવે છે.
વેટલેન્ડ્સ કેટલા પ્રકારના?
વેટલેન્ડ્સ બે પ્રકારના હોય છે. એક તો દરિયાકિનારાના વેટલેન્ડ્સ જેમાં ખારાપાણીના, મેનગ્રુવ્સના વૃક્ષોવાળા, લગુન્સ અને કોરલના વેટલેન્ડ્સનો સમાવેશ થાય છે. બીજા હોય છે ઈનલેન્ડ. જેમાં નાના તળાવ, અને સરોવરનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 831 વેટલેન્ડ્સ આવેલા છે. ગુજરાતની ત્રણ બાજુ દરિયાકિનારો મળ્યો હોવાથી અહીં 438 જેટલા દરિયાઈ વેટલેન્ડ્સ અને 393 જેટલા ઈનલેન્ડ વેટલેન્ડ્સ છે. નળ સરોવર સારી રીતે સચવાયેલુ વેટલેન્ડ છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે અને તેમને જોવા પ્રવાસીઓ પણ અહીં વધારે આવે છે.
આ દિવસે પર્યાવરણપ્રેમીઓ ભેગા થઈને તેમનો પ્રકૃતિ પ્રેમ પ્રદર્શિત કરે છે. સેમિનાર, પ્રદર્શન કે વિવિધ અભિયાન દ્વારા પર્યાવરણપ્રેમીઓ વેટલેન્ડ્સનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરે છે. વર્ષ 2015થી વેટલેન્ડ્સ ફોટો કોન્ટેસ્ટનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં અનેક ફોટોગ્રાફર્સ ભાગ લેતા હોય છે.
2022 ની થીમ
આ વર્ષની વર્લ્ડ વેટલેન્ડ ડેની ઉજવણીની થીમ વેટલેન્ડ્સ એક્શન ફોર પીપલ એન્ડ નેચર છે. તે સમાજના તમામ વર્ગોને અપીલ છે કે ભીનાશ પડતી જમીનોને બચાવવા અને ક્ષીણ થઈ ગયેલી જમીનોને પુનઃસ્થાપિત કરવા. ઝુંબેશ વેટલેન્ડ્સને સુરક્ષિત કરવા માટે મૂડી, રાજકીય અને નાગરિક સમર્થનની જરૂરિયાતને પ્રકાશિત કરે છે.
તમામ તસવીર સૌજન્ય : અમદાવાદના પક્ષીવિદ : શ્રી બ્રેનલ ખત્રી