હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રવિવારે ભાવનગરની મુલાકાતે હતા. હર્ષ સંઘવીએ લવ જેહાદને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. પાલિતાણામાં થોડા સમયમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો ભગાડી જવાના કિસ્સા સામે આવ્યા છે તે સંદર્ભે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું કે વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. પરંતુ, આ મામલે ગુજરાત પોલીસ સતર્ક છે કોઈને પણ બક્ષવામાં નહીં આવે.
વિધર્મીઓ રચે છે ષડયંત્ર
પાલિતાણામાં જે આ કિસ્સા સામે આવ્યા છે તેને લઇને સંઘવીએ કહ્યું કે, પ્રેમ કરવો ગુનો નથી, પણ વિધર્મીઓ દ્રારા ષડયંત્ર રચીને પોતાનું નામ બદલીને ભોળી દિકરીઓને ફસાવવામાં આવે છે, જે ખોટું છે અને આ પ્રકારની ઘટનાઓ નહીં ચલાવી લેવામાં આવે. ગુજરાત પોલીસ આ દિશામાં કાર્યવાહી કરશે. પાલિતાણામાં વિધર્મી યુવકો દ્રારા યુવતીઓને ભગાડી જવાના મામલે પૂરતી તપાસ કરી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
વાલીઓને પણ અપીલ
ભાવનગરની મુલાકાત સમયે ગૃહ રાજ્યમંત્રીએ વાલીઓને પણ ટકોર કરી હતી કે તેઓ તેમની દિકરીઓનું વિશેષ ધ્યાન રાખે. જો કોઇ તેમની દિકરીને ફસાવવાનો પ્રયત્ન કરતુ હોય તો તેઓ ડરે નહીં, આગળ આવે અને પોલીસ ફરિયાદ કરે. દિકરીઓની ઓળખ છતી નહીં કરવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે તેવી પણ હર્ષ સંઘવીએ બાંહેધરી આપી હતી.