આમ તો ઝવેરચંદ મેઘાણીએ લખેલી પંક્તિ,
“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,
અણદીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ, “
આજના વાસંતી વેલેન્ટાઇન ડે ની ઉજવણીના યૌવન સહજ ઉન્માદભર્યા આનંદની અભિવ્યક્તિનો અવસર છે. પૂર્વમાં વાત્સ્યાયન જેવા ઋષિઓએ અને કાલિદાસ જેવા કવિઓએ આ અભિવ્યક્તિને શાસ્ત્રીયતા આપીને પૂર્વાર્ધ્ય દર્શન આપ્યું તો પશ્ચિમમાં વેલેન્ટાઇન જેવા સંતો અને વર્ડ્ઝવર્થ કે શેક્સપિયર જેવા કવિઓએ પણ આ શાશ્વત અનુભૂતિને દેહત્વ અને દાવત્વનો દરજ્જો આપ્યો છે.
એક અર્થમાં આ દિવસ યૌવન સહજ લાગણીઓની મુખરતાનો દિવસ છે. ક્યારેક એ મુખરતા આંખો દ્રારા પણ વ્યક્ત થાય તો ક્યારેક એક મહેકતા લાલ ગુલાબના માધ્યમથી પણ પહોંચાડાય. ક્યારેક કોઇ કાવ્યની પંક્તિ હ્રદયના ભાવોની અભિવ્યક્તિનું કારણ બને તો વળી કો’ક વાર કોઇ ફિલ્મનું ગીત કે મનગમતી શાયરી પણ માધ્યમ બની શકે.
આ શાશ્વત સત્યને ઉકેલવામાં ક્યારેક કોઇક કોઇક વયસ્કો કે વડીલો થાપ ખાઇ જાય ત્યારે “ અમારા જમાનામાં તો આવું કશુંયે નહોતું “ એવો પ્રલાપ કરીને પોતાને અને યૌવનને વિયથિત કરવાના વ્યર્થ પ્રયત્નો કરે છે. એવી અપરિપકવ વડીલશાહીને કારણે તો ૭૦ વરિષ પહેલા “ વડીલોના વાંકે “ જેવા નાટકોએ આજે આજની પેઢી માટે સ્વ. રાજકપૂર જેવાને “પ્રેમરોગ” જેવી ફિલ્મોનું નિર્માણ કરવું પડે છે.
આજના વેલેન્ટાઇન ડે ની ઉજવણીમાં દેખાતા કે પછી સંભળાતા કે વંચાતા દ્રશ્યોમાં જૂની પેઢીએ સીતાના સ્વયંવર કે દુષ્યંત સાથે શકુંતલાના પ્રથમ મિલનના મહોત્સવને વાગોળી જવો પડશે. સત્યવાન અને સાવિત્રીના દાંમ્પત્યને યાદ કરીને ગૌરીવ્રતમાં માટીના કુંડામાં ઉગાડાતા જ્વારાની ભીનાશ અને લીલાશને આંખોમાં આંજીને આજને – આજના વેલેન્ટાઇન ડે ને અને એની ઉજવણીના આનંદને પોતાનો આનંદ બનાવવો પડશે.