જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા અટકવાનું નામ નથી લઇ રહ્યા. ઘુષણખોરી કરવાની હરકત હોય કે કાશ્મીરની શાંતિ ડહોળવાનો પ્રયાસ હોય કે આતંકીઓ હુમલાની ઘટના તે અટકતી જ નથી. આ પ્રકારના આતંકીઓના કૃત્યોને રોકવાના ભરપૂર પ્રયાસો નિરંતર કરવામાં પણ આવે જ છે. જેમાં આપણી સેના, પોલીસ અને સુરક્ષાદળોને સફળતા પણ હાથ લાગે છે. પણ આતંકીઓ તેમની નાપાક હરકતો કરતા અટકતા નથી.
શ્રીનગરના પંથચૌકના જેવનમાં મોડી સાંજે સુરક્ષા દળો પર વધુ એક હુમલો થયો છે. આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં આપણા 2 જવાનો શહીદ થયા છે અને 12 જવાનો ઘાયલ થયા છે. ઘાયલ જવાનોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. તમામને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરની 9મી બટાલિયનના સશસ્ત્ર પોલીસની બસ પર આ હુમલો થયો છે. હાલ સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે. આતંકી સંગઠન કાશ્મીર ટાઇગર્સે આ હુમલાની જવાબદારી લીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાઇક પર આવેલા બે આતંકીઓએ આ ફાયરિંગ કરી હુમલો કર્યો હતો.
આ પહેલા સોમવારે જ શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં પણ અથડામણ થઇ હતી જેમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઢાળી દીધા હતા. સુરક્ષાદળોને જાણકારી મળી હતી કે રંગરેથ વિસ્તારમાં આતંકીઓ છુપાયા છે અને તરત જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં આતંકીઓએ પોતાને ઘેરાઇ ગયેલા જાણતા જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ આતંકીઓ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. રવિવારે પણ પુલવામા જિલ્લાના અવંતીપોરામાં પણ અથડામણ થઇ હતી, જેમાં જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા આતંકીને ઠાર કર્યો હતો.
શનિવારના આતંકી હુમલામાં પણ 2 પોલીસકર્મી શહીદ થયા હતા. આતંકિઓએ બાંદીપોરાના ગુલશન ચોક વિસ્તારના પોલીસ કર્મીઓને નિશાન બનાવ્યા હતા. આમાં મોહમ્મદ સુલ્તાન અને ફયાઝ અહેમદ નામના બે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેઓની સારવાર દરમિયાન જ તેઓ શહીદ થયા હતા.