સુરતના જાણીતા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ પદ્મશ્રીનું સન્માન મળ્યા બાદ પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 1લી ફેબ્રુઆરીના દિવસે મુંબઈમાં તેમના લઘુબંધુ ઘનશ્યામભાઈ, તુલસીભાઈ અને મોટાભાઈ હિંમતભાઈ તેમજ પરિવારના 8 દીકરાઓએ સાથે મળીને સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું અને તે પાર્ટીમાં સવજીભાઈને હેલિકોપ્ટર ગિફ્ટ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
પરિવારજને જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર ખરીદવા માટે ઘણી બધી એજન્સીઓનો સંપર્ક કર્યો હતો પણ અમારા માટે સવજીભાઈ થી છૂપું રાખવું મહત્વનું હતું. જ્યાં સુધી ફાઈનલ થાય ત્યાં સુધી સવજીભાઈ સુધી આ વાત પહોંચે નહીં તેની અમારે તકેદારી રાખવાની હતી કદાચ કોઈ એજન્સી ડાયરેક્ટ ફોન કરીને એમને વાત કરે તો અમારું સસ્પેન્સ ખુલી જાય તેવું હતું તેથી ખૂબ જ સાવધાનીપૂર્વક એજન્સીઓ પાસેથી ભાવ લીધા અને જલ્દીથી ડીલીવરી મળી જાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે છતા પણ ડીલીવરી મળવા એક મહિના જેવો સમય લાગી જશે.
સવજીભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મને આટલી ઊંચાઇએ પહોંચાડવા માટે માતા-પિતાના આશીર્વાદ અને પરિવારના દરેક સભ્ય નો સંપૂર્ણ સહકાર રહ્યો છે. સામાન્ય રીતે અમારા પરિવારમાં કોઈપણ નિર્ણય મને પૂછીને કરતા હોય છે પરંતુ આ નિર્ણય નાના ભાઈઓ એ મારા માટે કર્યો છે તેનાથી વિશેષ આનંદશું હોઈ શકે?
તુલસીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે અમારા પરિવારે ખૂબ જ વિચાર મંથન કર્યું કે આપણે પરિવારજનો આપણા પરિવારના મોભીને શું ગિફ્ટ આપી તો સારું. વિચાર મંથનના અંતે એક એવો નિર્ણય લેવાયો કે અત્યારે સવજીભાઈ માટે સૌથી કિંમતી વસ્તુ સમય છે તેઓનો સમય બચે જ્યાં જવું હોય ત્યાં સમયસર પહોંચી શકે અને સમયસર તેમના કામ થઈ શકે વધારામાં વધારે સામાજિક સેવામાં તેમનો સમય વાપરી શકાય તે હેતુને ધ્યાનમાં રાખીને અમારા પરિવારે તેઓને હેલીકોપ્ટર ગિફ્ટ કરવા માટેનો નિર્ણય લીધો હતો.