RRB-NTPC પરિણામ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે પણ બિહારમાં ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું અને આ દરમિયાન એક ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી હતી. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ યાર્ડમાં પાર્ક કરેલી પેસેન્જર ટ્રેનને આગ ચાંપી દીધી હતી. ટ્રેનમાં લાગેલી આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોચી હતી. પોલીસ વિદ્યાર્થીઓને શાંત પાડવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓ પણ પોલીસની પકડ બહાર છે. બીજી તરફ ગયા રેલવે સ્ટેશન પરિસરમાં ચાલતી ટ્રેન પર વિદ્યાર્થીઓએ પથ્થરમારો કર્યો હતો.
ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ અનેક ટ્રેનોને નિશાન બનાવી અને શ્રમજીવી એક્સપ્રેસને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. જેમાં જહાનાબાદમાં વિદ્યાર્થીઓએ રેલ ટ્રેક જામ કર્યો અને પછી પીએમ મોદીનું પૂતળું બાળ્યું હતું. આ સાથે જ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પોલીસે વિદ્યાર્થીઓને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તે નિષ્ફળ રહી છે.
વાસ્તવમાં, આ વિરોધ રેલ્વે ભરતી બોર્ડની નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (RRB NTPC) પરીક્ષાના પરિણામોમાં કથિત ગરબડને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
રેલ્વે મંત્રાલયે NTPS અને લેવલ-1 બંને રેલ્વે પરીક્ષાઓ બુધવારે મોકૂફ રાખી છે. રેલ્વે મંત્રાલયે એક સમિતિની રચના કરી છે જે પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ અને પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના મંતવ્યો સાંભળશે અને તેના આધારે રિપોર્ટ તૈયાર કરશે. આ રિપોર્ટ રેલ્વે મંત્રાલયને સુપરત કરવામાં આવશે. ત્યારપછી રેલવે મંત્રાલય આગળનો નિર્ણય લેશે.
ઉલ્લેખનીય છે કે, પટના સહિત ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓએ સોમવારે પણ પ્રદર્શન કર્યું હતું. વિરોધને કારણે સોમવારે પટનામાં ટ્રેનો રદ કરવી પડી હતી. જે બાદ મંગળવારે રેલવે દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે આવી દિશાહીન પ્રવૃતિ કરનારા લોકોને રેલવેમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. રેલ્વેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ ઉમેદવારો અથવા અન્ય નોકરી શોધનારાઓની ભરતી પર આજીવન પ્રતિબંધ રહેશે.