જે ભૂમિ પર રાહુલ ગાંધીએ અદાણી પર કર્યા પ્રહાર, ત્યાં જ ગેહલોત કેબિનેટે ફાળવી 1600 હેક્ટર જમીન
કિતને ચહેરે લગે હૈ ચહેરો પર,
ક્યા હકીકત હૈ ઔર સિયાસત ક્યા..
રાજકારણ અને રાજકારણીઓને સમજવા ખુબ મુશ્કેલ છે. તેમની કથની અને કરણીમાં હંમેશા અંતર જોવા મળે. જેના પર તે આક્ષેપ કરે અને જે મુદ્દાઓ તે રાજકારણના મંચ પર બનાવે ને વિરોધ કરે તેના સમર્થનમાં ક્યારે આવી જાય તે સામાન્ય માણસની સમજની બહાર હોય છે.
વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ સત્તા પક્ષ સામે સવાલ ઉઠાવવામાં એકેય તક જવા દેતી નથી, અને આમેય વિપક્ષનું કામ છે સત્તા સામે સવાલ કરવાનું. કોંગ્રેસ 2014 થી એક આક્ષેપ મોદી સરકાર સામે કાયમ કરે છે કે મોદી સરકાર એ ઉદ્યોગપતિઓની સરકાર છે. હંમેશા કોંગ્રેસ આ મુદ્દે સરકાર સામે પ્રશ્નો કરે છે, કેન્દ્ર સરકાર પર ઉદ્યોગપતિઓની મદદ કરવાના સતત આરોપો વિપક્ષ લગાવતી રહે છે.
12 ડિસેમ્બરની રેલીમાં શું કહ્યું રાહુલ ગાંધીએ ?
12 ડિસેમ્બરે રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસની ભવ્ય રેલી હતી. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી 24 કલાક એજ વિચારે છે કે સવારે ઉઠતા જ અદાણી – અંબાણીને શું આપુ ? નરેન્દ્ર મોદી એમ વિચારે છે કે ચલો આજે એરપોર્ટ આપી દઇએ, આજે ખેડૂતોની જમીન આપી દઇએ….
જે ભૂમિ પર અદાણી પર સવાલ, ત્યાં જ અદાણીને ફાયદો
જયપુરમાં રાહુલ ગાંધીએ જે અદાણી પર સવાલ ઉઠાવ્યા હતા એ જ રાજ્યની સરકારે એટલે કે ગેહલોત સરકારે અદાણીને આપી 1600 હેક્ટર જમીન.. 4 દિવસ પહેલાની રેલીમાં રાહુલે કેન્દ્ર પર સવાલ ઉઠાવતા અદાણી ગૃપને પણ સવાલોમાં ઘેર્યું હતું, અને બુધવારે મળેલી ગેહલોત કેબિનેટની બેઠકમાં અદાણી ગૃપને જમીન ફાળવણીની લીલી ઝંડી આપી દેવામાં આવી. જોકે ત્યાર બાદ રાજકારણ પણ સ્વાભાવિક રીતે ગરમાયું હતું. આપને જણાવી દઇએ કે અદાણી ગૃપ અને રાજસ્થાન સરકારે સોલર પાર્ક માટે એક જોઇન્ટ વેન્ચર કંપની બનાવી છે. તે જ કંપનીને જમીન ફાળવણીની મંજૂરી આપી છે.
કેટલી જમીન ફાળવણી કરવામાં આવી ?
કેબીનેટે 1500 મેગાવોટનો સોલાર પાર્ક બનાવવા માટે અદાણી અને રાજસ્થાન સરકારની કંપની અદાણી રીન્યુબલ એનર્જી પાર્કને જેસલમેરના ભીમસર, માધોપુરા, સદરાસર ગામમાં 1324.14 હેક્ટર સરકારી જમીન ફાળવણીને મંજૂરી આપી છે. 30 મેગાવોટ વિંડ સોલાર હાઇબ્રીડ પાવર પ્રોજેક્ટ માટે અદાણી ગૃપને જેસલમેરના કેરાલિયા ગામમાં 64.38 હેક્ટર જમીન લીઝ પર આપવાની મંજૂરી આપી છે.
ગેહલોત કેબીનેટમાં ચાર એજન્ડા અદાણી ગૃપથી જોડાયેલા
ગેહલોત કેબીનેટમાં બુધવારની બેઠકમાં મહેસુલ વિભાગના 5 એજન્ડા મુકાયા હતા જેમાં 4 એજન્ડા માત્ર અદાણી ગૃપને જમીન ફાળવણીને લઇને મુકવામાં આવ્યા હતા…
એક તરફ કોંગ્રેસ આક્ષેપ કરે છે અને બીજી તરફ તેમની જ સરકાર એજ અદાણી ગૃપ પર મહેરબાન જોવા મળે છે. 4 દિવસ પહેલા જેના પર આક્ષેપ 4 દિવસ બાદ તેને જ જમીન ફાળવણી કરવામાં આવે તો સવાલોના ઘેરામાં કોંગ્રેસ પણ આવવાની જ…
રાહુલે સવાલ ઉઠાવ્યા છતા રાજસ્થાન સરકારે અદાણી ગૃપને જમીન ફાળવી, તેના પર આપનો શું છે મત, આપ અમને જણાવી શકો છો..
- મંચ પરથી કરાતો વિરોધ માત્ર રાજનીતિ છે.
- વિકાસ માટે આ નિર્ણય જરૂરી છે.
- ઉદ્યોગપતિઓ સાથે જ રાજકીય પક્ષોના સંબંધો સારા જ હોય છે.