વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. ત્યારે તેઓ ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમની પણ મુલાકાત લેશે. જેને લઇને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વાત કરીએ તો તેઓ 11મી માર્ચે સવારે 10 વાગ્યે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટથી તેઓ 10:30 વાગ્યે ગાંધીનગર કમલમ ખાતે જવા નીકળશે. એરપોર્ટથી ગાંધીનગર કમલમ કાર્યાલય સુધી ભાજપના કાર્યકર્તાઓ ભવ્ય સ્વાગત કરશે.
PM મોદીનું ભવ્ય સ્વાગત કરવા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટેની તૈયારીઓ અંગે ભાજપે દરેક નેતા અને કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપી છે. પીએમ ત્યારે ભાજપના નેતાઓ અને તમામ ધારાસભ્યો સાથે બેઠક પણ કરશે. કમલમ ખાતે નક્કી કરેલા 430 લોકો જ હાજર રહી શકશે. કમલમ ખાતે બેઠક કર્યા બાદ સાંજે ચાર વાગ્યાની આસપાસ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન હાજરી આપશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને ભીડ ભેગી કરવાની જવાબદારી યુવા મોરચા, શહેર સંગઠન અને મહિલા મોરચાને સોંપવામાં આવી છે.
એરપોર્ટથી કમલમ સુધી કાર્યકર્તાઓ વડાપ્રધાનને આવકાર આપશે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ માટે ભાજપના યુવા મોરચા, શહેર સંગઠન અને મહિલા મોરચાને જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચાએ રેલીનું પણ આયોજન કરી શકે છે.. જેમાં અંદાજે પાંચ હજાર યુવાનો બાઇક રેલીમાં જોડાય તેવી શક્યતા છે.