પ્રધાનમંત્રી મોદીએ નવા વર્ષના પહેલા જ દિવસે દેશના કરોડો અન્નદાતાઓને ભેટ આપી છે. શનિવારે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 20,000 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી છે. સાથે જ પીએમ મોદીએ લગભગ 351 ખેડૂત ઉત્પાદક સંગઠનોને 14 કરોડથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ જાહેર કરી છે. આનાથી 1.24 લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે. આ તકે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ ખાસ ઉપસ્થીત રહ્યા હતા.
આપને જણાવીએ કે, પીએમ કિસાન યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂત પરિવારોને રૂપિયા 6,000 પ્રતિ વર્ષ આપવામાં આવે છે, જેને સરકાર ચાર વારામાં બે બે હજારના હપ્તામાં આપે છે. આ રૂપિયા મોદી સરકાર સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે.
પીએમ કિસાન યોજના દ્રારા આપવામાં આવતો 2 હજારનો હપ્તાને લઇને અટકળો લગાવવમાં આવી રહી હતી, પરંતુ થોડા દિવસો પહેલા જ સરકાર તરફથી ખેડૂતોના મોબાઇલ પર રાશિ ટ્રાન્સફર કરવામાં આવી છે તેની જાણકારી એસએમએસ દ્રારા મોકલી દેવામાં આવી. હવે ખેડૂતોના ખાતામાં પૈસા પણ મોકલી દેવામાં આવ્યા છે. નવા વર્ષના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે, પીએમ મોદીએ કિસાન નિધિ યોજનાનો આ 10મો હપ્તો આપ્યો છે.
પીએમ કિસાન યોજનાને વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. તેની પાછળનો ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. અત્યાર સુધી મોદી સરકારે પીએમ કિસાન યોજનાના 9 હપ્તા ખાતામાં મોકલી આપ્યા છે. નવા વર્ષના દિવસે આ યોજના મારફતે દસમો હપ્તો ખેડૂતોને આપવામાં આવ્યો છે.
તદ્દઅનુસાર, ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત એક જ દિવસમાં રાજ્યના 33 જિલ્લાઓના 57.48 લાખ ખેડૂતોને ૧૦માં હપ્તાની કુલ રૂ. 1149 કરોડની રાશિ ડીબીટી મારફતે ચુકવવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વર્ચ્યુઅલી જોડાયા હતા.