શાકભાજી, દૂધ, પેટ્રોલ ડીઝલ સહિત કઠોળ, ખાદ્યતેલના ભાવો આસમાને પહોંચ્યા છે. ત્યારે વિધાનસભામાં ચાલી રહેલા પ્રશ્નોત્તરી કાળમાં અત્યાર સુધીમાં ખાદ્યતેલના ભાવમાં કેટલો વધારો થયો તેનો સરકારે જવાબ આપ્યો હતો.
બજેટ સત્ર બાદ શરુ થયેલ વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યમાં અત્યાર સુધીમાં ખાદ્યતેલના ભાવમાં કેટલો વધારો થયો તેના જવાબમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો. જે મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં છૂટક સીંગતેલના ભાવમાં લિટરે 57 રુપિયાનો વધારો થયો જ્યારે સીંગતેલના 15 લિટરના ભાવમાં 794 રુપિયાનો વઘારો થયો છે. જ્યારે કપાસિયા તેલના 1 લિટરના ભાવમાં 65 રૂપિયા વધ્યા જ્યારે 15 લિટરના ભાવમાં 930 રુપિયાનો વધારો નોંધાયો છે.
ભાવવધારા પાછળ સરકારે મજૂરોની અછત, કાચા માલની ખરીદી અને પરિવહનની મુશ્કેલી જેવા પરિબળોને જવાબદાર ગણાવ્યા. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારાનું પણ કારણ જવાબદાર ગણાવ્યું. જો કે સાથે કોરોના સમયગાળા દરમિયાન ભાવ વધારો થયો હોવાનો સરકારે દાવો કર્યો. વાવના ધારાસભ્ય ગેની બેન ઠાકોરના સવાલનો સરકારે લેખિત જવાબ આપ્યો હતો.
અત્યારે ખાદ્યતેલના ભાવ વિશે વાત કરીએ તો સિંગતેલ, કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2500ને પાર પહોંચ્યા છે. સિંગતેલના ડબ્બાનો હાલમાં ભાવ 2,520 રુપિયા છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,550 રુપિયા થયો. આ ઉપરાંત મકાઇ, પામોલિન તેલના ભાવમાં પણ વધારો થયા છે.