દેશમાં ઓમિક્રોનથી બીજું મોત નોંધાયું છે. ઓડિશાના બાલનરીમાં ઓમિક્રોનથી બીજું મોત નોંધાયું છે. 50 વર્ષીય મહિલાનું ઓમિક્રોનના લીધે નિધન થવા પામ્યું છે. નોંધનીય છે કે, રાજસ્થાનના ઉદેપુરમાં 72 વર્ષીય વ્યક્તિનું દેશમાં પ્રથમ ઓમિક્રોનના કારણે નિધન થવા પામ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 27 ડિસેમ્બરનાં રોજ સંબલપુર જિલ્લામાં સ્થિત વીર સુરેન્દ્ર સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (VIMSAR)માં મહિલાનું મૃત્યુ થયું હતું. પરંતુ હવે જાણવા મળ્યું છે કે મહિલાને ઓમિક્રોનથી ચેપ લાગ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. અગલપુર ગામનાં રહેવાસી આ દર્દીએ વિદેશ પ્રવાસ કર્યો ન હતો. ગયા મહિને તેમને સ્ટ્રોક આવ્યો હતો, ત્યારબાદ તેમને 20 ડિસેમ્બરે બાલાંગીરની ભીમા ભોઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બોલાંગીરનાં સીડીએમઓ સ્નેહલતા સાહુએ જણાવ્યું કે બે દિવસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાને સંબલપુરનાં બુરલાના વિમસરમાં રિફર કરવામાં આવી હતી. તેમની તબિયત બગડ્યા બાદ તેમનો કોરોના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યો હતો. બીજા દિવસે એટલે કે 23 ડિસેમ્બરે મહિલા કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
નોંધનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. જો કે, ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા સ્ટ્રેઈન કરતાં ઓછું ગંભીર હોવાનું નોંધાયું છે, જેના કારણે વિશ્વભરમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટ વિશે ચેતવણી આપી છે. WHO એ ગુરુવારે કહ્યું કે ઓમિક્રોનના કારણે વિશ્વભરમાં લોકોના મોત થઇ રહ્યા છે અને તેને હળવાશથી ન લેવું જોઈએ.