દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે યુપી, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આ બધાની વચ્ચે સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાશે ત્યાં કોવિડ સર્ટિફિકેટ પર વડાપ્રધાનની કોઈ તસવીર હશે નહીં. આ માટે કોવિન એપમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે. સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું કે, ‘કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય રસીના પ્રમાણપત્રમાંથી મોદીની તસવીર હટાવવા માટે કોવિન પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર્સ મૂકશે. ચૂંટણી પંચે શનિવારે જાહેરાત કરી હતી કે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સાત તબક્કામાં યોજાશે અને મતગણતરી 10 માર્ચે થશે.
ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે, સરકારો, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. એક સત્તાવાર સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “મોડલ કોડ ઓફ કન્ડક્ટના અમલને કારણે, આરોગ્ય મંત્રાલય કોવિન પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર્સ ઇન્સ્ટોલ કરશે જેથી આ પાંચમાં લોકોને કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રોમાંથી વડાપ્રધાનની તસવીર હટાવવામાં આવશે.
માર્ચ 2021 માં, આરોગ્ય મંત્રાલયે કેટલાક રાજકીય પક્ષોની ફરિયાદોને પગલે ચૂંટણી પંચના સૂચન પર આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં ચૂંટણી દરમિયાન સમાન પગલાં લીધાં હતાં.