15 થી 18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું અને આ વયજુથના કિશોરોને ઝડપી વેક્સિનેટ કરી દેવાના દાવા પણ કરવામાં આવ્યા પણ વાસ્તવિકતા સાવ વિપરીત છે. ગામડાઓ કે અંતરિયાળ વિસ્તારોની તો વાત જવા દો પણ અમદાવાદ જેવા મહાનગરોમાં પણ વેક્સિનની અછત જોવા મળી રહી છે. કિશોરોના વેક્સિનેશનમાં ધાંધિયા હોવાની ગંભીર બાબત સામે આવી છે.
3 જાન્યુઆરીથી અભિયાનની શરૂઆત
3 જાન્યુઆરીથી કિશોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. એક મહિના જેટલો સમય વીત્યા છતા પણ તમામ કિશોરોને વેક્સિનેટ કરી દેવાના દાવા પોકળ પુરવાર થયા છે. 15 થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવી વાતો રસીકરણના અભિયાનની શરૂઆતે કરવામાં આવી હતી. પણ અમદાવાદ જેવા મહાનગરમાં પણ વેક્સિનની અછત હોવાની વાત સામે આવી છે. આ માહિતી પ્રાપ્ત થતા જ તંત્રની પોલ ફરી એકવાર ખુલી ગઇ છે.
કિશોરો વેક્સિનથી વંચિત
કિશોરોમાં જાતે જ વેક્સિનેશનને લઇને ગંભીરતા જોવા મળી રહી છે પણ આપને જાણીને નવાઇ લાગશે કે અમદાવાદ જેવા શહેરમાં વેક્સિનનો જથ્થો ખુબ ઓછા પ્રમાણમાં આવે છે અને તેના કારણે અનેક કિશોરો વેક્સિનથી વંચિત રહી રહ્યા છે.
એક કલાકમાં પતી જાય છે 10 હજાર ડોઝ
અમદાવાદમાં 10 હજાર વેક્સિનના ડોઝ પણ ગણતરીના કલાકમાં પૂર્ણ થઈ જાય છે. જેના કારણે જે બાળકો વેક્સિન નથી લઈ શકતા તેઓ ઘણા હેરાન થતા હોય છે. કિશોરો વેક્સિનથી વંચિત રહે તે ઘણી ગંભીર સમસ્યા છે. કારણકે ટૂંક સમયમાં શહેરમાં શાળાઓ પણ ખોલવામાં આવશે. જેથી દરેક કિશોરે વેક્સિન લીધી હશે તો કોરોના સામે તેઓને રક્ષણ મળશે.
બીજો ડોઝ આપવાનું પણ શરૂ
સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે વેક્સિનનો પુરતા પ્રમાણમાં જથ્થો ન હોવાને કારણે કિશોરો વેક્સિનથી વંચિત રહી રહ્યા છે. જેમા કોવેક્સિનનો જથ્થો પુરતા પ્રમાણમાં નથી આવી રહ્યો જેથી કિશોરો વેક્સિનથી વંચિત રહી રહ્યા છે. એક તરફ વેક્સિનનો બીજો ડોઝ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને બીજી તરફ આવા ધાંધિયા પણ જોવા મળી રહ્યા છે.