નવા કૃષિ કાયદાનો સંકેત : અમે કૃષિ કાયદા પરત ખેંચ્યા છે પરંતુ લાંબી છલાંગ સાથે પાછા આવીશું
મોદી સરકાર કૃષિ કાયદો લાવી અને દેશના ખેડૂતો તેના વિરોધમાં આવ્યા, અને એક વર્ષથી પણ વધુ સમય સુધી કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો…ખેડૂતોની સામે સરકારે પોતાનો નિર્ણય ફેરવ્યો અને ત્રણ કૃષિ કાયદાને રદ કર્યો. ખેડૂતો આ નિર્ણયને પોતાની મોટી જીત ગણાવી રહ્યા છે તેવામાં કૃષિ મંત્રીનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું અને તેમણે કૃષિ કાયદાને નવુ રૂપ આપવાના સંકેત આપ્યા છે.
19 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદીએ ઘોષણા કરી અને કૃષિ કાયદાને પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ ખેડૂતોને તેમનું આંદોલન પૂર્ણ કરવાની અને પોતાના વતન તેમના ઘરે પાછા ફરવાની પણ અપીલ કરી હતી. 378 દિવસ ચાલેલું આ આંદોલન ખેડૂતોએ પ્રધાનમંત્રીની જાહેરાતના થોડા દિવસ બાદ પૂર્ણ કર્યું હતું અને એક સિંઘુ બોર્ડરથી તમામ ખેડૂતો જીતની લાગણી સાથે પોતપોતાના ઘરે પરત ફર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ પોતાની જાહેરાતમાં કહ્યું હતું કે તેઓ ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા, તેમની સાધનામાં જ કોઇ ઉણપ રહી ગઇ હશે. અને આ સાથે જ તેઓએ કાયદાને રદ કરવાની જાહેરાત કરી હતી. આ તરફ ખેડૂતોએ મોદી સરકાર સામે પોતાની આ મોટી જીત ગણાવી હતી. કૃષિ કાયદો સદનમાં રદ પણ થઇ ગયો અને ખેડૂતો તેને લઇને સંતુષ્ટ પણ જોવા મળતા હતા. તેઓ તેમની એમએસપી ની માંગને લઇને તો અડગ છે તેવામાં કેન્દ્રીય કૃષિ મંત્રીએ શુક્રવારે નાગપુરના એક કાર્યક્રમમાં ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તોમરે કહ્યું કે દેશભરમાં લાખો ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાદ ગયા મહિને સરકારે કૃષિ કાયદો પાછો ખેંચી લીધો છે તે કાયદાને નવું રૂપ આપવામાં આવી શકે છે. તેમણે આ કાર્યક્રમમાં કહ્યું કે, અમે એક પગલું પાછું ખેંચ્યું છે પણ ફરી આગળ વધીશું કારણકે ખેડૂત એ ભારતની કરોડરજ્જુ છે.
પોતાના સંબોધન દરમિયાન કેન્દ્રીય મંત્રી તોમરે વિવાદાસ્પદ કાયદાને પરત લેવા માટે કેટલાક લોકોને દોષી ગણાવ્યા હતા. કૃષિ મંત્રીએ કહ્યું કે, અમે કૃષિ કાયદો લાવ્યા હતા. પણ કેટલાક લોકોને કાયદો પસંદ ન આવ્યો. તેઓએ કહ્યું કે 70 વર્ષ બાદ દેશ માટે આ મોટો સુધારો હતો જે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો. વધુમાં તોમરે કહ્યું કે છતા અમે નિરાશ નથી થયા, અમે એક પગલુ પાછા હટ્યા છીએ પણ અમે ફરી આગળ વધીશું. કાયદાને નવો રંગ રૂપ સાથા રજૂ કરવાના તેઓએ આ સાથે જ સંકેત આપ્યા છે. ગયા મહિને 19 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદીએ યુપી અને પંજાબની ચૂંટણીના ત્રણ મહિના પહેલા જ કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. જોકે સરકારે કરેલા આ એલાનથી વિપક્ષે અનેક સવાલો ઉઠાવ્યા હતા અને વિપક્ષે સરકારના આ પગલાને ચૂંટણીમા લાભ લેવા માટે કરાયેલી જાહેરાત ગણાવી હતી. પાછલા નવેમ્બર મહિનાથી દિલ્લીની સીમાઓ પર હજારો ખેડૂતો તંબુ તાણીને વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ અને ખેડૂતો વચ્ચે પણ હિંસક અથડામણ થઇ હતી. કેન્દ્ર સરકારની મુશ્કેલી ત્યારે વધી જ્યારે લખીમપુર ખીરીની ઘટના બની હતી જેનો આરોપ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દિકરા આશિષ મિશ્રા પર લાગ્યો છે. 378 દિવસ સળંગ ચાલ્યું આંદોલન અને આખરે સરકારે તે કાયદા પરત લેવા પડ્યા હતા.