દિકરીઓના લગ્ન માટેની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી કરી દેવાઇ છે. સૂત્રોથી મળતી માહિતી મુજબ, પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આના માટે સરકાર હાલના કાયદામાં સંશોધન કરશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટ 2020ના લાલ કિલ્લા પરના પોતાના સંબોધનમાં આ મુદ્દાનો ઉલ્લેખ કરી ચુક્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દિકરીઓને કુપોષણથી બચાવવી અનિવાર્ય છે તેથી તેઓના લગ્ન યોગ્ય ઉંમરે થવા જોઇએ.
હાલ જે કાયદા છે તેમાં, દેશમાં પુરૂષોના લગ્ન માટેની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને મહિલાઓની 18 વર્ષ છે. હવે સરકાર બાળ વિવાહ નિષેધ કાયદો, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટમાં સંશોધન કરશે. નીતિ આયોગમાં જયા જેટલીની અધ્યક્ષતામાં જે ટાસ્ક ફોર્સ બનાવવામાં આવ્યું હતું તેમાં આ ભલામણ કરવામાં આવી હતી. આ સિવાય આરોગ્ય અને કલ્યાણ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ, ઉચ્ચ શિક્ષા, શાળા શિક્ષણ અને સાક્ષરતા મિશન અને ન્યાય અને કાયદા મંત્રાલયના વિધેયક વિભાગના સચિવ પણ ટાસ્ક ફોર્સના સભ્ય હતા.
ટાસ્ક ફોર્સનું ગઠન જૂન 2020 માં કરવામાં આવ્યું હતું. ટાસ્ક ફોર્સે ડિસેમ્બર 2020માં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. ટાસ્ક ફોર્સનું કહેવું હતું કે પહેલા બાળકને જન્મ આપતા સમયે યુવતીની ઉંમર 21 વર્ષ હોવી જોઇએ. લગ્નની આ ઉંમરને કારણે પરિવાર, મહિલાઓ, બાળકે અને સાથે જ સમાજના આર્થિક, સામાજીક સહિત આરોગ્ય પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે.