મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી નારાજગી જોવા માટે મળી રહી છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત અનેક નેતાઓ સામે મહેસાણા જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ નારાજગી જાહેર કરી છે. કોંગ્રેસ છોડીને હવે જિલ્લા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં બપોરે 2.15 કલાકે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ અને મહામંત્રી રજની પટેલની હાજરીમાં જોડાશે.
મહેસાણા જિલ્લા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાધુભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રણુભા સહિત મહેસાણા જિલ્લાના 200 થી વધુ આગેવાનો તેમજ માંડલ તાલુકાના કોંગ્રેસી આગેવાનો ભગવો ધારણ કરશે.
નોંધનીય છે કે, કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા તેમને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે સદંતર નિષ્ફ્ળ નીવડ્યો છે અને તેમની પક્ષમાં અવગણના અને અસંતોષ ચરમસીમાએ પહોંચતા આખરે કેસરિયા ધારણ કરવાનો આગેવાનોએ નિર્ણય લીધો છે.
કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારનું પણ ટ્વીટ કંઈકે સંકેત આપી રહ્યા છે. તેમણે છેલ્લે 27 જાન્યુઆરીએ ટ્વીટ કર્યું હતું તેમાં તેમને સંગઠન પર આક્ષેપ લગાવ્યો હતો અને લખ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે..કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે ????
27 જાન્યુઆરી બાદ આજે જયરાજસિંહે પહેલીવાર ટ્વીટ કર્યું છે અને તેમાં મહેસાણા બહુચરાજી સહીતના આગેવાનો ભાજપમાં જોડાય તેવા સંકેત આપ્યા છે.
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ કોંગ્રેસથી નારાજ જોવા માટે મળી રહ્યા છે અને તેમની પણ ગેરહાજરી નજરે આવી રહી છે. અને સવાલો ઉઠી રહ્યા છે કે, શું જયરાજસિંહ પરમાર પણ આખરે ભાજપનો કેસરિયો ધારણ કરશે? શું તેઓ નારાજગી બાદ ભાજપના નેતાઓના સંપર્કમાં છે? શું આ સમગ્ર મહેસાણાના આગેવાનોને જોડવા પાછળ તેમનો જ હાથ છે?
આવા અનેક સવાલોની વચ્ચે જોવાનું રહ્યું કે, શું જયરાજસિંહ ભાજપમાં જોડાય છે કે કોંગ્રેસમાં જ રહે છે?