ગુજરાતમાં ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સત્તા મેળવવામાં નિષ્ફળ પુરવાર થઇ રહી છે પણ વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ સત્તા પક્ષ સામે આક્ષેપો કરવાની એક પણ તક નથી છોડતી તેવામાં ભાજપ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરનાર કોંગ્રેસની સામે જ આક્ષેપ થઇ રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસના યુવા અને વિદ્યાર્થી નેતાઓ સામે એક બાદ એક ભ્રષ્ટાચારના આક્ષેપ થઇ રહ્યા છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ ફાર્મસીના એડમિશન માટે રૂપિયા 3 લાખ 30 હજાર લીધા હતા, પરંતુ આક્ષેપ થઇ રહ્યો છે કે પૈસા લીધા બાદ એડમિશન ના કરાવ્યું અને તેથી જે વિદ્યાર્થી પાસેથી આ પૈસા લીઘા હતા તેના પરિવારજનો દ્રારા હોબાળો કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીની માતાએ વિશ્વનાથસિંહ વાઘેલા સામે પૈસા લઇને કામ ન કર્યું હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો.
2 વિદ્યાર્થીઓના એડમિશન માટે 3.30 લાખ રુપિયા લીધા
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ તરીકે વિશ્વનાથસિંહ વાઘેલાને ચૂંટાવામાં આવ્યા છે. વિશ્વનાથસિંહ વાઘેલાએ બી.ફાર્મના એડમિશન માટે નિકુંજ કારેલીયા નામના વિદ્યાર્થી પાસેથી 1,85,000 રૂપિયા અને હિમાંશુ પટેલ નામના વિદ્યાર્થી પાસેથી 1,45,000 રૂપિયા લીધા હતા. વિશ્વનાથ સિંહે એડમિશન માટે રૂપિયા લીધા બાદ પણ એડમિશન કરાવ્યું નહોતું, જેને લઈને વિદ્યાર્થી અને તેના વાલી ચિંતામાં મુકાયા હતા. આ રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો.
બેઠકમાં વાલીઓ ધસી આવ્યા
વિધાનસભા 2022ની ચૂંટણી નજીક છે તેવામાં યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પોતાની જાતને સફળ પુરવાર કરવા માટે વિશ્વનાથ વાઘેલા એક બાદ એક બેઠકો યોજી રહ્યા છે તેવામાં ગુરૂવારે પણ આવી જ એક બેઠક ઘોળકાના સર્કિટ હાઉસ ખાતે વાઘેલાએ યોજી હતી, અને આ બેઠક શરુ થયાને થોડો સમય થયો અને જે વિદ્યાર્થીઓના કામ થયા નહોતા તેઓના વાલી બેઠકમાં ધસી આવ્યા હતા અને બેઠકમાં જ હોબાળો કર્યો હતો. જોકે અન્ય આગેવાનો તુરંત જ બેઠક રૂમમાં આવી ગયા હતા અને વાલીને સમજાવીને બાજુના રૂમમાં લઈ ગયા હતા.
વિશ્વનાથ વાઘેલા ફોન પણ ઉપાડતા નહોતા
બન્ને વિદ્યાર્થીના વાલીઓ ત્યાં ઉપસ્થીત આગેવાનો સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો. વિદ્યાર્થીઓના પરિવારજનોએ જણાવ્યું કે પૈસા આપી દીધા બાદ પણ તેઓનું કામ થતુ નહોતુ અને આ અંગે પૂછપરછ કરવા માટે જ્યારે વાઘેલાને તેઓ ફોન કરતા તો તેમના ફોન પણ ઉપાડવામાં નહોતા આવતા, વિશ્વનાથ વાઘેલા મોટા નેતા હોવાનો રોફ જમાવતા હોવાનો પણ આરોપ તેમના પર લગાવ્યો હતો.
મારા રૂ.85 હજાર ફસાઇ ગયાઃ નિકુંજ કારેલીયા
નિકુંજ કારેલીયા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તેણે બીફાર્મના એડમિશન માટે પૈસા આપ્યા હતા, આમ છતાં તેનુ એડમિશન થયું નહોતું જેથી તેણે પણ તેના પૈસા પરત મેળવવા પ્રયત્ન કર્યો હતો. જેમાંથી 1 લાખ રૂપિયા મળ્યા હતા પરંતુ બાકીના 85000 મારા ફસાઈ ગયા છે જે માટે આજે બેઠકમાં પહોંચ્યો હતો.
કોગ્રેસ પર કાળી ટીલી
આવા પ્રકારના કિસ્સા સામે આવતા વિશ્વસનીયતા ગુમાવી દીધેલી કોંગ્રેસ સામે અનેક સવાલો ઉપસ્થિત થવા સ્વાભાવિક છે. સત્તામાં નથી અને યુવા નેતાઓ આ પ્રકારનું વર્તન કરે તો સત્તામાં આવીને તેઓ કેટલા કૌભાંડો આચરે તેવા પણ સવાલો ઉભા થવા લાગ્યા છે. જોકે સમગ્ર મામલે વિશ્વનાથસિંહ વાઘેલાનો કોઇ ખુલાસો સામે આવ્યો નથી.