શિયાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં લીલી હળદરની લારીઓ દેખાવાની શરુ થઇ જાય છે. બજારમાં બે પ્રકારની હળદર “પીળા” અને “સફેદ” રંગની જોવા માટે મળે છે. હળદરના ફાયદા અનેક છે. હળદર શરીરમા રહેલી બિમારીઓને જડમૂળમાંથી દૂર કરે છે. હળદર માત્ર રસોડામાં વપરાતો એક મસાલો નથી તે આપણા સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ બહુ ગુણકારી છે. જેમ શરદી-ખાંસીમાં તેમજ કોઇ ઘા પડ્યો હોય તો તેને ભરવા માટે હળદરનો પ્રયોગ થાય છે. તેમ ત્વચાને નિખારવા માટે પણ વર્ષોથી આપણે ત્યાં હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. હિન્દુ લગ્ન પ્રસંગે પીઠી ચોળવાની વિધિ તો તમને યાદ જ હશે, તેમાં પણ હળદરનો પ્રયોગ થાય છે.
ખેર, તો ચાલો આપણે ઝડપથી જાણી લઈએ લીલી હળદરનું શાક બનાવવાની રીત :
સામગ્રી :
લીલી હળદર – 500 ગ્રામ ( લીલી હળદર ને છોલી ને ધોઈ લેવી ને ત્યાર બાદ છીણી નાખવી.)
વટાણા – 200 ગ્રામ ( બાફી લેવા)
ડુંગળી – 1 મોટી,ટમેટું- 1 (બંનેની પેસ્ટ બનાવી લેવી)
ટામેટું- 1 મીડીયમ સમારી લેવું.
આદુ- લીલા મરચાની પેસ્ટ બનાવી લેવી
લીલું લસણ – ઝીણું સમારી લેવું.
કોથમીર ઝીણી સમારેલી,
ઘી – 500 ગ્રામ
તમાલપત્ર -1
મરી-5 થી 6 નંગ
લવિંગ -3 થી 4 નંગ
તજ -નાના 2 ટુકડા
કોપરા -નું છીણ,
મસાલા : લાલ મરચું, જીરું, મીઠું, ધાણાજીરું અને ગરમ મસાલો.
રીત :
સૌપ્રથમ એક પેન માં ઘી લેવું અને ધીમી આંચે છીણેલી લીલી હળદર બ્રાઉન થાય અને ઘી છુટું પડે ત્યાં સુધી સાંતળી લેવી. ત્યારબાદ એ હળદર ને સાચવીને એક અલગ પાત્રમાં લઈ લેવી.
હવે પેનમાં બાકી રહેલ ઘી ની અંદર વઘાર માટે જીરું, હિંગ , તમાલપત્ર, લવિંગ અને તજ – મરી નાખવા, ત્યારબાદ ડુંગળી ટામેટા ની પેસ્ટ ઘીમાં ઉમેરવી. અને ધીમી આંચે બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું. ત્યારબાદ એમાં લીલા મરચા અને આદુની પેસ્ટ સાથે લીલું લસણ ઉમેરીને બે મિનીટ સુધી સાંતળી લેવું.
ત્યારબાદ મસાલા ઉમેરી લેવા, હવે વટાણા અને સાંતળી લીધેલી લીલી હળદર તેમાં ઉમેરી દેવી. અને કોપરાનું છીણ ઉમેરી દેવું. બે થી ત્રણ મિનીટ હલાવી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરવું. સમારેલા ટામેટા ઉમેરી દેવા. ત્યારબાદ 5 થી 7 મિનીટ પાકવા દેવું. ત્યારબાદ છેલ્લે કોથમીર ભભરાવી 10 મિનીટ ઢાંકીને મૂકી રાખવું.
લ્યો તૈયાર છે લીલી હળદરનું શાક !