ગોવાના આગામી મુખ્યમંત્રી કોણ છે?: અટકળો વચ્ચે વિશ્વજીત રાણે રાજ્યપાલને મળ્યા, સાવંતે ધારાસભ્યો સાથે તાકીદની બેઠક બોલાવી
ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ દરમિયાન ચર્ચાએ જોર પકડ્યું છે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે? ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ભલે ફરી એકવાર સીએમ બનવાનો દાવો કર્યો હોય, પરંતુ ભાજપ હાઈકમાન્ડ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ સંકેત મળ્યા નથી.
આ દરમિયાન પાર્ટીમાં આંતરિક વિખવાદ પણ સામે આવવા લાગ્યો છે. વાસ્તવમાં ભાજપના નેતા અને વિધાનસભ્ય વિશ્વજીત રાણેએ ચૂંટણી પરિણામો બાદ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને રાજકીય હલચલ વધારી દીધી છે. એવું માનવામાં આવે છે કે સાવંતની જગ્યાએ રાણે મુખ્ય પ્રધાનપદનો ચહેરો બની શકે છે. જો કે રાણેએ આ બેઠકને ખૂબ જ ખાનગી ગણાવી છે. આ બેઠકે સાવંતની ચિંતા પણ વધારી દીધી છે.
રાણે સીએમ પદના દાવેદાર હતા
વરિષ્ઠ નેતા મનોહર પર્રિકરના નિધન બાદ બીજેપી નેતા વિશ્વજીત રાણે પણ સીએમ પદના દાવેદારોમાંના એક હતા. જો કે બીજેપી હાઈકમાન્ડે પ્રમોદ સાવંતને રાજ્યની જવાબદારી સોંપી હતી, પરંતુ આ વખતે ચૂંટણી પરિણામો આવતાની સાથે જ રાણેની રાજ્યપાલ સાથેની મુલાકાતે સંકેત આપ્યો છે કે દાળમાં કંઈક કાળું છે.
સાવંતે ઈમરજન્સી બેઠક બોલાવી
આ બેઠક બાદ પ્રમોદ સાવંતે ભાજપના ધારાસભ્યો સાથે બેઠક પણ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં 20માંથી 17 ધારાસભ્યોએ હાજરી આપી હતી. આ પહેલા તેમણે ફરી એકવાર પોતાને સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે, ચૂંટણીમાં સાવંત 666 મતોના માર્જિનથી પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા હતા.
ભાજપ બહુમતી ચૂકી ગયું
ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ભલે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હોય, પરંતુ તેને પણ સ્પષ્ટ બહુમતી મળી ન હતી. ભારતીય જનતા પાર્ટીને 20 બેઠકો મળી અને બહુમતીથી એક બેઠક પાછળ પડી. જોકે, ભાજપે દાવો કર્યો છે કે તેને ત્રણ અપક્ષ અને એમજીપીનું સમર્થન મળ્યું છે.