મતદારોના મન સુધી પહોંચવા માટે રાજકીય પાર્ટીઓને દોરા ધાગા, મંદિર – મસ્જિદ, હિંદુ- મુસ્લિમ, દાદરી – બાબરી કે ગાય કે પછી બીફનો મુદ્દો બનાવતા આપણે વર્ષો વર્ષ જોયા છે. મતદારોને રીઝવવા, તેમને પોતાના તરફી આકર્ષવા બનતા પ્રયાસો પણ કરવામાં આવે છે. બદલાયેલા સમયમાં તો આખે આખી PR ટીમ કામે લાગે છે કે કયા મુદ્દાઓ ઉઠાવવા કે પછી કયા મુદ્દાઓ બનાવવા જેથી કરીને મતદારોના મનમાં જે તે રાજકીય પાર્ટીઓ તરફી ઝુકાવ વધે.
ક્યારેક ખુબ મોટા મુદ્દા અસર ન પણ કરે તેમ બને અને ક્યારેક એમ પણ બને કે નાની નાની બાબતો ક્લીક થઇ જાય. રાજકીય પાર્ટીઓના ચૂંટણી ટાણે વહેતા મુકાતા સૂત્રો, નારા પણ ક્યારેક પાર્ટીને લોકજીભે ચઢાવવામાં, લોકોના માનસપટ પર છવાઇ જવામાં મોટો ભાગ ભજવી જાય છે. અને આ સૂત્રોની અસર એ આજકાલ નહીં પણ વર્ષોના વર્ષથી આપણે જોઇ છે. ત્યારે આજે આવા જ કેટલાક પ્રચલિત થઇ ગયેલા નારા વિશે કરીએ વાત.
1960ની ચૂંટણી વખતે કોંગ્રેસે પોતે વિકાસ તરફી માનસિકતા ધરાવે છે તેવી છાપ છોડવા માટે અનોખુ કેમ્નેઇન રજૂ કર્યું હતું અને સૂત્ર આપ્યું હતું :
પ્રોગ્રેસ થ્રુ કોંગ્રેસ
તે જ સમયે કોંગ્રેસના કેમ્પેઇન ના જવાબરૂપે શિવસેના મેદાને હતી અને કોંગ્રેસના આ નારા સામે તેઓએ આપ્યો હતો નારો :
કોંગ્રેસ ઓર પ્રોગ્રેસ ?
1965માં પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ આપેલો નારો ખુબ લોકપ્રિય થયો હતો. સૈનિકો અને ખેડૂતોના મહિમાગાન કરતું આ સૂત્ર હતું :
જય જવાન જય કિસાન
1967 ની ચૂંટણીમાં જનસંઘે જનજાગૃતિના ભાગરૂપે અને કોંગ્રેસ વિરોધી માહોલ બનાવવા માટે આપ્યું હતું એક સૂત્ર :
જનસંઘ કો વોટ દો, બીડી પીના છોડ દો, બીડી મેં તંબાકુ હૈ, કોંગ્રેસ વાલે ડાકુ હૈ…
કોંગ્રેસની સરકાર ખુબ લાંબી ચાલી અને તે સમયે ફુગાવો પણ ખુબ વધી ગયો હતો ત્યારે જનસંઘે આપેલુ સૂત્ર પણ લોકજીભે ચઢી ગયું હતું. ઇંદિરા વિરૂધ્ધ જનસંઘે મોરચો ખોલતા નારો આપ્યો હતો .
યહ દેખો ઇંદિરા કા ખેલ, ખા ગઇ શક્કર પી ગઇ તેલ.
1971ની ચૂંટણીમાં ઇંદિરા ગાંધીના સમર્થનમાં સૂત્ર અપાયું
ગરીબી હટાઓ, ઇંદિરા લાઓ, દેશ બતાવો
તેના સામે તે જ ચૂંટણીમાં ચળવળકાર અને જનતા પાર્ટીના નેતા જય પ્રકાશ નારાયણે વળતુ સૂત્ર આપ્યું હતું :
ઇંદિરા હટાઓ, દેશ બચાવો
1978માં ઇંદિરા ગાંધીએ પોતાની પરંપરાગત બેઠક છોડીને ચિકમંગલુર બેઠકથી ચૂંટણીમાં ઝંપલાવ્યું અને આ ચૂંટણી જીતવી તેમના માટે પ્રતિષ્ઠાના જંગ સમાન પણ હતી. તે વખતે જે નારો અપાયો તે આજે પણ લોકો ભૂલ્યા નથી :
એક શેરની, સો લંગૂર , ચિકમંગલુર ભાઇ ચિકમંગલુર
1984માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ જે ચૂંટણી યોજાઇ તેમાં જે નારો અપાયો તે સહાનુભૂતિનું મોજુ બનીને છવાઇ ગયો હતો. તે ચૂંટણીમાં પ્રચંડ વિજય કોંગ્રેસે હાંસલ કર્યો હતો :
જબ તક સૂરજ ચાંદ રહેગા, ઇંદિરા તેરા નામ રહેગા.
અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ મુલાયમ સિંહ સાદવ અને કાશીરામે સંયુક્ત સરકાર બનાવી હતી તે સમયે તેમના પ્રચારનું સૂત્ર કંઇક આવુ હતુ :
મિલે મુલાયમ – કાશીરામ , હવા હો ગયે જય શ્રી રામ.
2009ની ચૂંટણીમાં સોનિયા ગાંધી માટે કોંગ્રેસે બનાવ્યું હતુ આ સૂત્ર અને સોનિયા ગાંધીને ઇંદિરા ગાંધી તરીકે પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. :
સોનિયા નહીં યે આંધી હૈ, દુસરી ઇંદિરા ગાંધી હૈ.
2014ની ચૂંટણીમાં અણધાર્યા પરિણામો આવ્યા હતા, તે સમયે નરેન્દ્ર મોદીને પ્રધાન મંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા. તે ચૂંટણીમાં ભાજપના એક સાથે બે સૂત્રો ખુબ પ્રચલિત થયા હતા.
અબ કી બાર મોદી સરકાર
અચ્છે દિન આયેંગે
સમય સમયે રાજકીય પાર્ટીઓની મતદારોને રીઝવવાની મહેનતની સાથે તેમના આ સૂત્રો પણ ક્લીક થયા અને પક્ષને નવી ઓળખ આપવામાં ખુબ મદદ પણ મળી.