આ વર્ષે હોળાષ્ટક આવતીકાલથી એટલે કે 10 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. હોળાષ્ટકમાં શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે કારણ કે હોળી (Holi) પહેલાના 8 દિવસ અશુભ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી હોળાષ્ટક બેસે છે, જે ફાગણ પૂર્ણિમા સુધી ચાલે છે. ફાગણ પૂર્ણિમાની રાત્રે જ્યારે હોલિકા દહન થાય છે ત્યારે હોળાષ્ટક પણ સમાપ્ત થાય છે અને બીજા દિવસે સવારે ધૂળેટી રમવામાં આવે છે. ચાલો હોળાષ્ટકની ચોક્કસ તિથિ, સમય અને સમાપ્તિ તારીખ વિશે જાણીએ.
પંચાંગ અનુસાર આ વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ 10 માર્ચ, ગુરુવારે સવારે 02.56 કલાકે શરૂ થઈ રહી છે. આ તિથિ 11 માર્ચ સવારે 05.34 વાગ્યા સુધી માન્ય છે. અષ્ટમી તિથિ 10મી માર્ચે સવારે શરૂ થઈ રહી છે, તેથી હોળાષ્ટક પણ 10મી માર્ચે સવારે 05:34 વાગ્યાથી શરૂ થશે.
હોળાષ્ટકનું સમાપન હોલિકા દહન અથવા ફાગણ પૂર્ણિમાના દિવસે થાય છે. એવામાં ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ 17 માર્ચ, ગુરુવારે બપોરે 01.29 કલાકે શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે 18 માર્ચ શુક્રવારે બપોરે 12.47 સુધી માન્ય છે. 17મીએ પૂનમનો ચંદ્ર દેખાશે અને મોડી રાત્રે હોલિકા દહન થશે, એવામાં હોળાષ્ટક 17મી માર્ચે પૂર્ણ થશે.જો કે, ફાગણ પૂર્ણિમાનું વ્રત 18 માર્ચે રાખવામાં આવશે. આવી સ્થિતિમાં જો તમારે કોઈ શુભ કાર્ય કરવાનું હોય તો ફાગણ પૂર્ણિમા પછી જ કરવું. આ સંદર્ભે તમે કોઈ યોગ્ય જ્યોતિષની મદદ લઈ શકો છો.
હોળાષ્ટકના સમયે મુંડન, નામકરણ, ઉપનયન, સગાઈ, લગ્ન વગેરે સંસ્કાર અને ગૃહપ્રવેશ, નવું મકાન, વાહન વગેરેની ખરીદી જેવા શુભ કાર્યો કરવામાં આવતી નથી. નવી નોકરી કે નવો ધંધો શરૂ કરવાનું પણ આ સમયગાળા દરમિયાન ટાળવામાં આવે છે.