કોરોનાની ત્રીજી લહેરને નાથવા અને રાજ્યમાં ટેસ્ટીંગની કામગીરી વધુ વ્યાપક બનાવવા માટે તથા રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.
CM ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ટેસ્ટિંગની કામગીરી વધુ વ્યાપક બનાવવા ખાસ ડોમ પણ જરૂર જણાયે ઉભા કરીને વધુને વધુ ટેસ્ટિંગ પર ભાર મૂકયો હતો. આ ઉપરાંત ટેસ્ટિંગ સાથોસાથ કોન્ટેકટ ટ્રેસિંગ પણ સઘન બનાવવા બેઠકમાં સૂચવ્યું હતું.
રાજ્યના મહાનગરોમાં લોકોને પોતાની નજીકના સ્થળે પ્રાથમિક સારવાર, ટેસ્ટિંગ વગેરે સુવિધા મળી રહે તે હેતુસર ધનવંતરી રથ અને સંજીવની રથની સંખ્યા પણ વધારવાનો આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી ત્રીજી જાન્યુઆરીથી રાજ્યના ૧પ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોના વેક્સિનેશનની ડ્રાઇવ અંગે પણ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
આ સંદર્ભમાં આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૮.૯૪ કરોડ વેક્સિનેશન ડોઝ આપીને કુલ વસ્તીના ૯૦ ટકાનું વેક્સિનેશન પૂર્ણ કરી દેવાયું છે. રાજ્યના આરોગ્ય વિભાગ પાસે જરૂરી દવાઓ, ટેસ્ટિંગ કિટ અને માસ્ક સહિતનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે તેની પણ વિગતો મુખ્યમંત્રીને તેમણે આપી હતી.