ગુજરાતમાં કોરોના બાદ હવે ઓમિક્રોનનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. ગુજરાતના જામનગરથી શરુ થયેલી ઓમિક્રોન દહેશત હવે ગામડાઓ સુધી પહોચી છે. શનિવારે આણંદના કરમસદમાં ઓમિક્રોનના ચાર કેસ નોંધાયા છે. જિલ્લામાં એક સાથે ચાર પહેલીવાર નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે. હાલ ત્રણ દર્દીઓ કરમસદ ખાતે સારવાર હેઠળ છે, જયારે એક દર્દી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. ખેડા જિલ્લાના પીપલગ ગામે પણ શનિવારે ત્રણ કેસ નોંધાયા છે. ત્રણેય દર્દીઓ હાલ નડિયાદમાં સારવાર હેઠળ છે. અત્યારસુધી ખેડામાં ઓમિક્રોનના છ કેસ નોંધાયા છે.રાજ્યમાં કુલ 50 જેટલા ઓમિક્રોનના કેસ અત્યારસુધી નોંધાયા છે.
નોંધનીય છે કે, હાલમાં દેશમાં ઓમિક્રોનનો કુલ આંકડો 415 પર પહોંચી ગયો છે. કેસોની વધતી સંખ્યાએ ચિંતા વધારી છે. આ વાયરસની પહોંચ 17 રાજ્યોમાં પહોંચી ગઈ છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત આ નવા સંકટથી સૌથી વધુ જોખમમાં છે. આવી સ્થિતિમાં, આ સંક્રમણથી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર બ્રેક લાગી છે.
ઘણા રાજ્યોમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં નાઇટ કરફ્યૂ જેવા ઘણા કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. વધતા ખતરાને જોતા સરકારે રસીકરણ પર ભાર મૂક્યો છે. તેથી, કેન્દ્ર સરકારે એવા 10 રાજ્યોની યાદી તૈયાર કરી છે, જ્યાં કોરોના રસીકરણની ગતિ ધીમી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હવે કેન્દ્ર દ્વારા આવા રાજ્યોમાં એક ટીમ મોકલવામાં આવશે. કારણ કે આ રાજ્યોમાં રસીકરણની ધીમી ગતિ સાથે, કોરોનાના કેસ પણ વધુ છે.
કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડો. વી કે પોલે ચેતવણી આપતા કહ્યુ છે કે, ઓમિક્રોન વેરિએન્ટ ઘરોમાં ટ્રાન્સમિટ થાય તે જોખમ ડેલ્ટા વેરિએન્ટ કરતા વધારે છે.ઓમિક્રોનથી આ ખતરો ઘણો વધારે છે.આગળ તહેવારો આવી રહ્યા છે.આ દરમિયાન ઓમિક્રોન વધારે ઝડપથી ફેલાશે.એટલે એક જવાબદાર નાગરિક હોવાના નાતે માસ્ક પહેરો, હાથને સેનિટાઈઝ કરો અને ભીડમાં જવાનુ ટાળો.વગર કારણે મુસાફરીનુ જોખમ ના લો.વેક્સીનેશન એકલુ જ આ જોખમ સામે પુરતુ નથી.
ડો.પોલે કહ્યુ હતુ કે, હેલ્થ સિસ્ટમે સંપૂર્ણપણે સતર્ક રહેવાની જરુર છે.મહામારીને કાબૂમાં કરવા માટે પ્રાઈવેટ હોસ્પિટલોનો બહુ મોટો રોલ હશે.તેમણે દવાઓની ઉપલબ્ધતા અને ઓક્સિજન પર ધ્યાન આપવાની જરુર છે.