સાઈકલોથોન-2021 એ ખેડા સત્યાગ્રહીઓની અડગ ભાવનાને એક ઉમદા શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
આવકવેરા વિભાગ દ્વારા શુકવારે સાઈકલોથોન-2021નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વેજલપુરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાઈકલોથોન-2021 નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગે ખેડા સત્યાગ્રહની સ્મૃતિને આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે સાયક્લોથોનથી ફરી જીવંત કરવાનો સરાહનીય પ્રયોગ કર્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે , 1918માં જે માર્ગ પર સત્યાગ્રહીઓ દ્વારા ખેડા સત્યાગ્રહ કરાયો હતો તે જ માર્ગ પર અમદાવાદથી ખેડા જિલ્લાના નડિયાદ સુધી આયકર વિભાગ દ્વારા સાયક્લોથોન-2021 ખેડા સત્યાગ્રહીઓની અડગ ભાવનાને એક ઉમદા શ્રદ્ધાંજલિ છે. ખેડા સત્યાગ્રહ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક ક્રાંતિકારી પગલું અને ખેડા જિલ્લાના ખેડૂતોએ દુષ્કાળની પૃષ્ઠભૂમિમાં દમનકારી કર વ્યવસ્થા સામે કરેલુ શાંતિપૂર્ણ આંદોલન હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કાયદા હેઠળ મહત્તમ આવકની વસૂલાત માટે અનુરૂપ વાતાવરણ પૂરું પાડવું એ જ આવકવેરા વિભાગનો ધ્યેય છે. કર વસૂલાત સિવાયના પણ સામાજિક ઉત્તરદાયિત્વના ક્ષેત્રોમાં કાર્યરત રહી આયકર વિભાગ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન વિભાગ આપી રહ્યો છે.
આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષમાં આયકર વિભાગ પોતાના શ્રેષ્ઠ પ્રદાનથી આત્મનિર્ભર ભારતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ પાર પાડશે એવો તેવો વિશ્વાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.
સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, શ્યામજીકૃષ્ણ વર્મા, મેડમ કામા, સરદારસિંહ રાણા, વીર સાવરકર, મદનલાલ ધીંગરા, ભગતસિંહ જેવા રાષ્ટ્રવીરોની તપસ્યા, ત્યાગ અને બલિદાનને યાદ કર્યા હતા.
ગાંધીજીના નેતૃત્વમાં સાબરમતી આશ્રમથી દાંડીની યાત્રા હોય કે ૧૯૧૮માં દુકાળના કપરા કાળમાં પણ ખેડૂતો પાસેથી કર વસુલવાની અંગ્રેજોની નીતિ સામેનો ખેડા સત્યાગ્રહ હોય ગુજરાતે આઝાદી આંદોલનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે તેવું મુખ્યમંત્રીએ કહ્યું હતું.
આવકવેરા વિભાગ દ્વારા આયોજીત સાયક્લોથોન – 2021ના આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી રવિન્દ્ર કુમાર, પ્રધાન મુખ્ય આયકર આયુક્ત પ્રવિણ કુમાર તેમજ આયકર મહાનિર્દેશક એસ.એમ.રાણા. ઉપસ્થિત રહ્યા હતા.