કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો. અનિલ જોષીયારાનું નિધન થયું છે. ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય પ્રધાન અનિલ જોશીયારાને વધુ સારવાર માટે ચેન્નઇ ખસેડવામાં આવ્યા હતા. અનિલ જોશીયારા છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમિત હતા. તેઓ છેલ્લા 10 દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. પરિવારમાં અને સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,ભીલોડા વિધાનસભા બેઠક પરથી કોગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું લાંબી બીમારી બાદ નિધન થયુ. કોરોના બાદ તેમને સારવાર માટે ચેન્નાઈ ખસેડવામાં આવ્યા હતા. બપોરે એક વાગ્યાની આસપાસ તેમનું નિધન થયુ. મલ્ટી ઓર્ગન ફેઈલ થતા તેમનું નિધન થયું હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે.
ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભિલોડા મત ક્ષેત્રના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના ચૈન્નાઇ ખાતે સારવાર દરમિયાન થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સદ્દગત ડૉ. જોષીયારાને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે,ડૉ. જોષીયારાએ આદિજાતિ સમાજ અને પોતાના મત ક્ષેત્ર સહિત સૌના લોક પ્રશ્નોની રજૂઆતો તથા નિવારણ માટે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે આપેલું યોગદાન સદાકાળ અવિસ્મરણીય રહેશે. મુખ્યમંત્રીએ દિવંગત ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી છે. તેમણે સદગતના શોક સંતપ્ત પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે.
નોંધનીય છે કે, અનિલ જોષીયારાએ બી.જે. મેડિકલમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યો હતો. તેઓ 1995માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. 1996-97માં રાજ્યનાં હેલ્થ મંત્રી બન્યા હતા.