ગુજરાતની રાજસ્થાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું એક એવું ગામ છે કે, જ્યાં આજે પણ હોળીનો તહેવાર ઉજવાતો નથી. આ ગામમાં હોળીનો દિવસ માતમમાં ફેરવાઈ જાય છે.
હોળીનો તહેવાર આમ તો ખાસ કરી રાજસ્થાનનો તહેવાર માનવામાં આવે છે, પરંતુ વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા રાજસ્થાની મારવાડી લોકો ગુજરાતમાં જ હોળીના તહેવારની ઉજવણી કરે છે. જેથી તેમની સાથે ગુજરાતના લોકો પણ હોળીની પરંપરાગત રીતે ઉજવણી કરે છે, પરંતુ આજે આપણે ગુજરાતના એક એવા ગામની વાત કરીશું, જ્યાં 200 વર્ષથી હોળી ઉજવવામાં આવતી નથી, .આ છે ડીસા તાલુકાનું રામસણ ગામ. આ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામ એ અહિયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ ૧૦ હજારની વસ્તી છે અને આ ઐતહાસિક ગામમાં બસ્સો સાત વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા.
શું છે માન્યતા?
ગામમાં આગ લાગવા પાછળ એક લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતો એ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે ત્યાર બાદ હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી ગઈ હતી અને આ ગામના અનેક ઘર બળીને ખાખ થઈ ગયાં હતાં, ત્યારબાદ ફરી બે વાર ફરી હોળી મનાવવા માટે પ્રયાસ કરાયો પરંતુ ત્યારે પણ ગામમાં આગ લાગી હતી. આખું ગામ આગની લપેટમાં આવી ગયું હતું. બાદમાં આ ગામના લોકોએ ભેગા થઈ હોળી પર પ્રતિબંધ ફરમાવી દીધો , અને ત્યાર થી આજ સુધી રામસણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી.
ડીસા તાલુકાના રામસણ ગામમાં રામેશ્વર મહાદેવના પૂજારી રમેશભારથીએ જણાવ્યું હતું કે રામસણ ગામમાં અનેક લોકવાયકાઓના કારણે વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજદિન સુધી તોડવામાં આવી નથી. જેના કારણે ગામના લોકો હોળી પ્રગટાવતા નથી. વર્ષો પહેલા હોળી પ્રગટાવવા થી રામસણ ગામમાં બે વખત આગ લાગી હતી. જે બાદ ગામમાં ક્યારે પણ હોળી પ્રગટાવવામાં આવી નથી. પૂર્વજો દ્વારા ચાલી આવતી આ પરંપરાને આજે પણ ૨૧ મી સદીમાં પણ અકબંધ રાખવામાં આવી છે.
રામસણ ગામના સરપંચ રમેશસિંહ દરબારે જણાવ્યું હતું કે ” છેલ્લા કેટલાય વર્ષોથી હોળીની ઉજવણી હોલિકા દહનનો કાર્યક્રમ કરતા નથી. ગામમાં એક જગ્યા પર છાણાનો ધુવો કરી નવજાત શિશુઓને તેની ફરતે ફેરવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાને અમે આજે તોડી નથી. આજે પણ ગામમાં હોલિકા દહનનો કાર્યક્રમ થતો નથી.