કોરોનાની મહામારીમાં સમગ્ર વિશ્વ સપડાયુ છે અને સતત સંક્રમણ વધી રહ્યું છે. પ્રથમ લહેર અને બીજી લહેરમાં કોરોનાનો પ્રકોપ આપણે સૌ જોઇ ચુક્યા છીએ તેવામાં હવે કોરોનાની ત્રીજી લહેરે પણ દસ્તક દઇ દીધી છે અને આ લહેરમાં તેજ ગતિએ સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યની જ વાત કરીએ તો દરરોજ હજારોની સંખ્યામાં સતત કેસ પોઝીટીવ આવી રહ્યા છે.
કોંગ્રેસે સરકારને લીધી આડેહાથ
કોરોનાના વધતા કહેરની વચ્ચે કોંગ્રેસ પણ હવે મેદાને આવી છે અને ગુજરાત કોંગ્રેસે શુક્રવારે પત્રકાર પરિષદ કરીને સત્તા પક્ષને ધેરવાનો પ્રયાસ કર્યો હતો. કોરોના મહામારીને લઇને ભાજપ સરકાર પહેલા દિવસથી જ ગંભીર નથી અને સરકારની અણઆવડત અને નફીકરાઇને લઇને દેશમાં અને રાજ્યમાં કોરોનાની પરિસ્થીતી વણસી હોવાનો આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો છે. જે રીતે ત્રીજી લહેરમાં સંક્રમણના આંકડા નોંધાઇ રહ્યા છે તેવામાં કોંગ્રેસે સરકાર પર વાર કરતા કહ્યું કે આ આંકડા ભાજપ સરકારની જ દેન છે. હજી પણ આ સંક્રમણ પર વધુ કડક નિયંત્રણો લાદીને અંકુશ સરકારે મેળવી લેવો જોઇએ. કોંગ્રેસે જણાવ્યું કે સરકારે નિયંત્રણો કડક કરવાની જરૂર છે, 5 દિવસની રજા જાહેર કરીને સરકાર આ લહેરને તોડી શકે છે. 5 દિવસની રજા અને કડક નિયંત્રણો સાથે કોરોનાની ત્રીજી લહેરને તોડવી પણ અનિવાર્ય થઇ ચુક્યુ છે અને સરકારે વહેલા આ અંગે નિર્ણય લઇ લેવો જોઇએ.
ત્રીજી લહેરને રોકવી જરૂરી
કોરોનાનું સંક્રંમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે અને તેવામાં ગુજરાત કોંગ્રેસ દ્રારા શુક્રવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે કોરોનાને કાબૂમાં લેવા માટે સરકારની નિતી નિષ્ફળ પુરવાર થઇ છે. સાથે જ કહ્યું હતું કે ત્રીજી લહેરમાં મોત વધ્યાં નથી, પરંતુ હવે બે આંકડામાં મોત નોંધાઈ રહ્યાં છે. હવે ત્રીજી લહેરની ચેઈન તોડવી પડે. આ માટે સરકાર પાસે તક છે. પાંચ દિવસની રજા જાહેર કરીને સરકાર કડક નિયંત્રણો લાવે તો ત્રીજી લહેરની ચેઈન તોડી શકાય છે. શનિ-રવિ અને 26 જાન્યુઆરી છે તો પાંચ દિવસ રજા જાહેર કરીને કડક નિયંત્રણ લાવવામાં આવે એવી કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે.
સરકાર શરુઆતથી જ કોરોનાને લઇ ગંભીર નથી
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને રાહુલ ગાંધીની વાતને પણ ટાંકી હતી. જ્યારે કોરોનાની મહામારી ચીનમાં વકરી ત્યારે જ રાહુલ ગાંધીએ દેશમાં હવાઇ સેવા પર પ્રતિબંધો લાદવાની વાત કરી હતી પણ સરકારે તેને ગંભીરતાથી ન લીધી અનેે સ્થિતિ વણસી હતી. ઠાકોરેે વધુમાં કહ્યું કે સરકારની નિષ્ફળતાને કારણે જ બીજી લહેરમાં અનેક મોત થયા હતા અને સરકારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે મોતના આંકડા છુપાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. સરકાર 10 હજાર લોકોનો આંકડો લઈને બેઠી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ અને નેતાઓએ 3 લાખનો આંકડો આપ્યો હતો સુપ્રીમે સવાલો ઊભા કર્યા ત્યારે 58 હજાર અરજી થઈ, 15 હજાર પેન્ડિંગ છે અને 11 હજાર અરજી પ્રોસેસમાં છે, 5 હજાર નામંજૂર થઈ છે. અમે નામંજૂર થયેલી અરજીઓ પર સવાલ ઊભો કરવામાં આવ્યો હતો.
ગુજરાત મોડેલ પર પણ કર્યા સવાલ
કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે ગુજરાત મોડેલની ભ્રાંતિ ઉભી કરીને દિલ્લીની ગાદી તો મેળવી લીધી પણ ગુજરાત મોડેલ જ સમગ્ર વિશ્વમાં નિષ્ફળ ગયું છે. કોરોનામાં પ્રજાએ 28 મેટ્રિક ટન સોનું વેચ્યું છે, લોકોએ મકાન, જગ્યાઓ ગીરવી મૂક્યાં છે. સામૂહિક અને વ્યક્તિગત આત્મહત્યા પાછળ પણ આ કોરોના પણ જવાબદાર હોવાનો પ્રહાર ગુજરાત કોંગ્રેસે મુક્યો હતો.
સરકારની ભુલની સજા જનતાએ ભોગવી
શુક્રવારની પત્રકાર પરિષદમાં નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમને પણ યાદ કરવામાં આવ્યો, નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવામાં આવી અને તેના કારણે કોરોનાને પગપેસારો કરવાની તક મળી, પોતાની વાહવાહી કરવામાં સરકારે જનતાના જીવ સાથે ચેડા કર્યા. બઘી જ જગ્યાઓ પર જ્યારે પ્રતિબંધો હતા ત્યારે અમદાવાદમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું અને તે પણ કોરોનાના ફેલાવા માટેનું કારણ બન્યું. અનેક જાહેર કાર્યક્રમો સરકારે યોજ્યા અને તેના કારણે પણ વધુ કોરોનાનો વ્યાપ વઘ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્રારા લગાવવામાં આવ્યો.