દેશના અલગ અલગ રાજ્યોમાં હિંદુ ધર્મ સંસદનું આયોજન આજકાલ કરવામાં આવી રહ્યું છે. ધર્મસંસદમાં હજારોની સંખ્યામાં સાધુ સંતો પણ એકત્રિત થઇ રહ્યા છે. ધર્મગુરૂઓ ધર્મના પ્રચાર પ્રસાર માટે, ધર્મ અને આધ્યાત્મનો જન જન સુધી ફેલાવો કરવા અને ધર્મનિતીના મુળિયા વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ધર્મ સંસદનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ધર્મગુરૂઓ જ્યારે ધર્મના નિવેદનો નહીં પણ ઉશ્કેરણીજનક નિવેદનો આપે તો વિવાદ ઉભો થવાના છે. હમણાં જ છત્તીસગઢના પાટનગર રાયપુરમાં જે ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું તેમાં હાજર રહેલા ધર્મગુરૂ કાલીચરણ મહારાજે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. ધર્મગુરૂ કાલીચરણે ગાંધીજીની હત્યા કરનાર ગોડસેને સાચા ગણાવ્યા હતા અને વધુમાં કહ્યું કે હું ગોડસેને નમન કરૂ છુ. સોશિયલ મીડિયા પર કાલીચરણ મહારાજનો આ વીડિયો વાયરલ થતા જ રાજનીતિ પણ ગરમાઇ છે.
ગોડસેને નમન કરુ છું – ધર્મગુરૂ કાલીચરણ મહારાજ
મહાત્મા ગાંધી વિશે અપમાનજનક શબ્દો કહેનાર ધર્મગુરૂ કાલીચરણે બાપુની હત્યા કરીને ગોડસેએ યોગ્ય જ કર્યું છે તેવું વિવાદીત નિવેદન આપ્યું. વધુમાં કહ્યું કે ઇસ્લામનો ઉદ્દેશ્ય રાજનીતિના માધ્યમથી આપણા રાષ્ટ્ર પર કબજો કરવાનો છે. કાલીચરણે કહ્યું કે, 1947માં આપણી સામે જ કબજો કરી લીધો, તેમણે ઇરાન, ઇરાક અને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો અને રાજનીતિના માધ્યમથીજ બાગ્લાદેશ અને પાકિસ્તાન પર કબજો મેળવ્યો હતો. સાથે જ કાલીચરણે કહ્યું કે હં નાથુરામ ગોડસેને નમન કરું છું કે તેમણે ગાંધીની હત્યા કરી. આ નિવેદન આપતા જ ત્યાં ઉપસ્થીત લોકો તાળીઓ વગાડવા લાગ્યા હતા.
ધર્મગુરૂ કાલીચરણે ભડકાઉ ભાષણ આપતા વધુમાં કહ્યું હતું કે આપણું મુખ્ય કર્તવ્ય છે ધર્મની રક્ષા કરવાનું અને સરકારમાં કટ્ટર હિંદુ નેતાની પસંદગી કરવી જરૂરી છે .
આ નિવેદનનો વિડીયો વાયરલ થતા જ રાજનીતિ પણ શરૂ થઇ ગઇ. મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે પણ કાલીચરણ પર પ્રહાર કરતા કહ્યું કે બાપુના હત્યારાઓ હજી જીવીત છે તે શરમજનક વાત છે. કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ પણ કાલીચરણના નિવેદનને વખોડી કાઢ્યું હતું.
મહંત રામસુંદર દાસે વ્યક્ત કર્યો વિરોધ
કાલીચરણ ગાંધીજી વિરુદ્ધ આ વાત કહી ત્યારે ત્યાં ઉપસ્થીત લોકોએ આ નિવેદનને તાળીઓથી વધાવ્યું પણ ત્યાં મંચ પર ઉપસ્થીત કોંગ્રેસના સમર્થક ગણાતા રાયપુરના સંત અને ગૌસેવા વિભાગના અધ્યક્ષ મહંત રામસુંદર દાસ ગુસ્સે ભરાયા અને સવાલ ઉઠાવ્યો કે શું આજ છે ધર્મ સંસદ ? હું પોતાને આ કાર્યક્રમથી અલગ કરું છું અને તેઓ મંચ પરથી ઉતરી ગયા હતા. જોકે કાલીચરણના આ નિવેદન પછી અનેક સંતોએ મંચ પર વિરોધ કર્યો હતો.
કાલીચરણ મહારાજ વિરૂધ્ધ ફરિયાદ
મળતી જાણકારી મુજબ મહાત્મા ગાંધી માટે અપશબ્દોનો ઉપયોગ કરનાર કાલીચરણ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે. છત્તીસગઢમાં ટીકરાપાર વિસ્તારમાં 505(2), 294 IPC અંર્તગત ફરિયાદ નોંધાઈ છે. કાલીચરણ મહારાજ વિરુદ્ધ રાયપુરના પૂર્વ મહાપૌર અને વર્તમાન સભાપતિ પ્રમોદ દુબેએ ફરિયાદ નોંધાવી છે.
રાજનીતિ શરુ
સોશિયલ મીડિયા પર કાલીચરણ મહારાજનો વીડિયો વાયરલ થયા પછી આ વિશે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે પણ કાલીચરણ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું છે કે, બાપુના હત્યારાઓ હજી જીવતા છે તે શરમજનક વાત છે. કોંગ્રેસ સહિત અન્ય પક્ષના નેતાઓએ પણ કાલીચરણ મહારાજ પર આકરા પ્રહાર કર્યા છે.
આ મુદ્દે કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતું.