EPFO એટલે કે એમ્પ્લોયઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) તરફથી શનિવારે PF પર મળતું વ્યાજ નક્કી કર્યું છે. જોકે, આ વખતે નોકરિયાત લોકોને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે ઈપીએફઓ તરફથી નક્કી કરવામાં આવેલું વ્યાજ 16 વર્ષમાં સૌથી ઓછું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. EPFO તરફથી નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજદર 8.1 ટકા નક્કી કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી EPFOના આશરે છ કરોડ લોકોને ઝટકો લાગ્યો છે. ગત નાણાકીય વર્ષ માટે વ્યાજદર 8.5 ટકા હતો. CBTના એક સભ્યએ કહ્યું કે, “8.1 ટકા વ્યાજદર નક્કી કરાયો છે.”
એક બાજુ મોંઘવારી સતત વધી રહી છે, તો બીજી તરફ PF પર મળનારા વ્યાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 1977-78 દરમિયાન EPFO તરફથી 8% વ્યાજદર નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારથી હવે આટલું ઓછું વ્યાજ મળ્યું છે. અત્યારસુધી 8.25 ટકા કે તેનાથી વધારે વ્યાજ મળતું રહ્યું છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન બોર્ડે નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ આપ્યું હતું. નાણાકીય વર્ષ 2020-21 માટે પણ આટલું જ 8.5 ટકા વ્યાજ મળ્યું હતું. નાણાકીય વર્ષ 2018-19 માટે વ્યાજદર 8.65 ટકા હતો. નાણાકીય વર્ષ 2017-18 માટે વ્યાજદર 8.55 ટકા હતો. નાણાકીય વર્ષ 2016-17 માટે વ્યાજનો દર 8.65 ટકા હતો. તેના એક વર્ષ પહેલા એટલે કે 2015-16 દરમિયાન વ્યાજનો દર 8.80 ટકા હતો.