પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા સામે મોટી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે ગેરકાયદે રેતી ખનનના સંબંધમાં સીએમ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હની અને અન્યના ઘર પર દરોડા પાડ્યા હતા.
ભૂપિન્દર સિંહ હનીના ઘરની સાથે પંજાબમાં લગભગ 10 થી 12 અલગ-અલગ જગ્યાઓ પર આજે સવારથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. ED અધિકારીઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી રહ્યા છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય સંબંધ ધરાવતા કેટલાક લોકોના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ દરોડા એવા સમયે પડી રહ્યા છે જ્યારે પંજાબમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને મતગણતરી 10 માર્ચે થશે.
ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો પંજાબના ચૂંટણી પ્રચારમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે તેમની જૂની પાર્ટી કોંગ્રેસ પર ગેરકાયદે રેતી ખનન વ્યવસાયમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.
અમરિંદર સિંહે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના ધારાસભ્યો ગેરકાયદેસર રેતી ખનનમાં સામેલ છે. ગયા મહિને તેણે કહ્યું હતું કે, જો હું નામો લેવાનું શરૂ કરું તો મારે ઉપરથી શરૂઆત કરવી પડશે.
સિંહે પત્રકારોને એમ પણ કહ્યું હતું કે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ગેરકાયદેસર રેતી ખનન સાથે સંકળાયેલા ધારાસભ્યો વિશે જાણ કરી હતી.
આમ આદમી પાર્ટી (AAP), જે પંજાબમાં કોંગ્રેસ માટે સખત પડકાર તરીકે ઉભરી આવી છે, તે પણ તેમના મતવિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનના આરોપોને લઈને મુખ્યમંત્રી ચન્નીને નિશાન બનાવી રહી છે.