તાતા અને સાયરસ મિસ્ત્રી વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે સાયરસ મિસ્ત્રીની રિવ્યુ પિટિશન પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી છે અને કોર્ટ 9 માર્ચે તેની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે કે આ વખતે સુનાવણી ઓપન કોર્ટમાં થશે. CJI NV રમના, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમની બેન્ચે 15 ફેબ્રુઆરીએ તેના પર વિચાર કર્યો હતો. જોકે, જસ્ટિસ વી રામસુબ્રમણ્યમે લઘુમતી ચુકાદામાં કહ્યું હતું કે રિવ્યુ પિટિશનને ફગાવી દેવી જોઈએ.
સાયરસ ઇન્વેસ્ટમેન્ટે અરજીમાં સર્વોચ્ચ અદાલતના 26 માર્ચ, 2021ના નિર્ણય પર પુનર્વિચારની માંગ કરી છે, જેમાં કોર્ટે તાતા જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. નિયમો અનુસાર રિવ્યુ પિટિશન પર ચેમ્બરમાં વિચારણા કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 26 માર્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે કાયદાના તમામ પ્રશ્નો ટાટાના પક્ષમાં છે. તેના નિર્ણયમાં, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે બંને પક્ષો શેરના વિવાદ અંગે કાનૂની માર્ગ અપનાવી શકે છે. SCએ પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું હતું કે સાયરસ ઇન્વેસ્ટમેન્ટ્સ, સ્ટર્લિંગ ઇન્વેસ્ટમેન્ટ્સની અરજી ફગાવી દેવામાં આવે છે.
આ નિર્ણય પૂર્વ CJI શરદ અરવિંદ બોબડેની બેન્ચે આપ્યો છે. ટાટા ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને હટાવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે. આ સાથે, કોર્ટે મિસ્ત્રીને તાતા ગ્રૂપના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પુનઃસ્થાપિત કરવાના NCLATના નિર્ણયને બાજુ પર રાખ્યો છે.
18 ડિસેમ્બર, 2019 ના રોજ, નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ સાયરસ મિસ્ત્રીને તાતા ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પુનઃસ્થાપિત કર્યા હતાં.