ભુપેન્દ્ર પટેલની સરકાર એટલે ત્વરિત નિર્ણય કરનારી, આક્ષેપ વગરની, સ્વચ્છ છબી ધરાવનારી અને જનતાનો વટ રાખનારી સરકાર !
તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં બાદ અનેક નામોની અટકળો વહેતી થઇ હતી કે ગુજરાતનો તાજ કોના શીરે જશે? ધારાસભ્ય દળની બેઠકમાં છેલ્લે બેઠેલા વ્યક્તિને ખબર નહોતી કે હું મુખ્યમંત્રી બનીશ અને તમામ અટકળોની વચ્ચે કઈક નવું જ નામ લોકોની વચ્ચે આવ્યું અને તે હતું “ભુપેન્દ્ર પટેલ”. ભુપેન્દ્ર પટેલ અને તેમની સાથે અનેક મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા અને આ બધાનું નો-રિપિટેશન થીયરીને આધારે સિલેકશન કરી મંત્રી બનાવવામાં આવ્યા ! યુવા તરવરીયા અને ઉત્સાહી કામ કરનારા લોકોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું અને ગુજરાતમાં બુલેટ ટ્રેનની ઝડપે જનતાના કામ કરવાની નેમ સાથે આગળ વધી રહી છે ભુપેન્દ્ર પટેલ સરકાર!
ભુપેન્દ્ર પટેલ સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ મહિનાના ચોથા દિવસે નિર્ણયો કરવાની વણઝાર શરુ કરી દીધી છે. પેન્ડીંગ રહેલી ભરતીઓ અને માર્ગ તથા મકાનના બાકી રહેલા તમામ કાર્યો પૂર્ણ કરવાનો ત્વરિત નિર્ણય કરવામાં આવ્યો.
ભુપેન્દ્ર પટેલ સરકાર અસ્તિત્વમાં આવ્યાના એક મહિના તેમને લીધેલા નિર્ણયો આ મુજબ છે :
- 18 સપ્ટેમ્બરના રોજ 906 વિદ્યાર્થીઓને 7.83 કરોડ રૂપિયાની સહાય
- 21 સપ્ટેમ્બરના રોજ શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરીથી શરુ કરવામાં આવી
- 22 સપ્ટેમ્બરના રોજ પુરગ્રસ્તોની સહાયમાં વધારો
- 4 ઓક્ટોબરના રોજ પોલીસ વિભાગમાં ખાલી રહેલી 27,847 જગ્યાની ભરતીની જાહેરાત
- 13 ઓક્ટોબરના રોજ સ્પર્ધાત્મક પરિક્ષાની વય મર્યાદા વધારી
- 13 ઓક્ટોબર નાર્કો રીવોર્ડ પોલિસી બનાવી
- 14 ઓક્ટોબરના રોજ રસ્તાઓના કામ માટે ધારાસભ્યોને 2 કરોડની ગ્રાન્ટ ફાળવી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર વટ પાડનારી સરકાર છે. ભુપેન્દ્ર ભાઈએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, તમે જેવો અમારો વટ પાડ્યો છે એવો તમે ગાંધીનગર આવો ત્યારે તમારો વટ પાડી દઈશું ! સોમવારે અને મંગળવારે મુખ્યમંત્રી સ્મિત સાથે નાગરીકોને સાંભળે છે અને તેમના પ્રશ્નો અને સમસ્યાઓનો જરૂરી નિકાલ લાવવાના પણ જે તે વિભાગને આદેશ આપી નિયત સમય મર્યાદામાં કામ પતે તેવી સૂચના પણ આપે છે અને જનતાનો વટ રાખે છે !
મુખ્યમંત્રી ભુપેન્દ્ર હળવા મિજાજ રાખીને નિર્ણયોમાં આક્રમકતા ધરાવે છે. મુખ્યમંત્રીએ પોતાના એક ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી છીએ એટલે પોણો કલાક બોલવું એવા મૂડમાં આપણે ક્યાંય નથી. તમારી કોઈ પણ મુશ્કેલી મારા સુધી પહોંચશે તો એને નિવારવા પુરી તાકાત કામ કરીશ. ઘણીવાર લોકોને સમસ્યા હોય છે કે ચૂંટણી આવે એટલે લોકો કહે છે કે દોડો અમે બેઠા છીએ પછી ચૂંટણી પછી કોઈ દેખાતું નથી. એટલે એ જવાબદારી લેનારા છટકી જાય તો પણ અમારા સુધી વાત પહોંચાડજો!
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશે વાત કરવામાં આવે તો તેઓ પાક્કા અમદાવાદી છે. તેમનો જન્મ અમદાવાદના દરિયાપુરમાં 15 જુલાઈ, 1962ના રોજ થયો હતો અને ડીપ્લોમાં સિવિલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે. યુવાવસ્થામાં પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ભૂપેન્દ્રભાઇએ ગાંધીરોડ પરથી હોલસેલમાં મળતા ફટાકડા લાવીને દરિયાપુરની ધતુરાની પોળમાં ધંધો પણ કર્યો છે.
તેઓ પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2010 થી 2017 સુધી સ્થાયી સમિતિના ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ AUDA ચેરમેન તરીકે પણ ફરજ બજાવી છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જયારે ગુજરાત મોડેલને દેશમાં ગુંજતું કર્યું ત્યારે JNNRUM હેઠળ 2700 કરોડ, BRTS માટે 1100 કરોડ, સાબરમતી રીવરફ્રન્ટ માટે તબ્બકાવાર 1200 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા અને આ યોજનાના અમલીકરણ માટે ભુપેન્દ્રભાઈએ મહત્વની જવાબદારી નિભાવી હતી.
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પછી ભુપેન્દ્રભાઈ પટેલ પહેલીવાર ઘાટલોડિયા બેઠક પરથી તેઓ 1.17 લાખની વિક્રમી લીડથી ચૂંટાઇ આવ્યા હતા. તેમણે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના શશીકાંત પટેલને હરાવ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલને 1,75,652 મતો મળ્યા હતા જ્યારે પ્રતિસ્પર્ધીને માત્ર 57902 મત પ્રાપ્ત થયા હતા.
ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર આઈપી ગૌતમ તેમના વિશે વાત કરતાં જણાવે છે કે, ભુપેન્દ્રભાઈ લોકપ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે ઉત્તમ મધ્યસ્થી રહ્યા છે. તેઓ ખૂબ જ વ્યવહારિક ઢબે ઉચ્ચતમ કામ લેવામાં માહિર છે. બજેટ અને નીતિઓ ઘડવામાં તેઓ હમેશા સકારાત્મક રહ્યા છે. તેમની સાથે કામ કરવું તે મારા માટે આજે પણ ગૌરવની વાત છે.
ભુપેન્દ્રભાઈને 2005થી ઓળખતા એવા નયન બ્રહ્મભટ્ટ જણાવે છે કે, ભૂપેન્દ્રભાઇ નાના કાર્યકરને પણ માન આપતા હતા અને કોઈ પણ કામ ખૂબ જ સહજતાથી કરતા હતા. જે પણ કામ થાય એવું હોય તેમ હા પડતા હતા અને જે કામ ના થાય તેમાં ના પાડી દેતાં હતાં. એમનો અનુભવ અને કાર્ય કુશળતા જોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમનું કાર્ય અને વહીવટ ખૂબ સારું છે.
ભુપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા બાદ દરેક મંત્રીઓને આદેશ આપ્યા છે કે તેઓ સોમવાર અને મંગળવારે ગાંધીનગર ખાતે પોતાના કાર્યાલયમાં રહે અને જનતાના પ્રશ્નોને સાંભળી તેમને વાચા આપવાનું કાર્ય કરે, આ અંગે મુખ્યમંત્રી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં કરવામાં આવ્યું હતું કે ક્યાં મંત્રીઓ હાજર છે અને નથી ! આમ કોઈ ઊંઘતા ન ઝડપાઈ જાય તેનું પણ તેઓ નરીઆંખે બધા જ પર નજર રાખે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મસાલો ખાવાની આદત છે. તેઓ “પ્રમુખ મસાલો” ખાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને જેઠી મધનો પાવડર, લવલી, સોપારી અને ચૂનોનો મસાલો બને છે. તેમાં તમાકું સહેજેય નથી હોતી. ભુપેન્દ્રભાઈ મેમનગર ગામના પ્રમુખ હતાં ત્યારથી તેઓ સાદો મસાલો ખાવાનો શોખ ધરાવે છે. ભુપેન્દ્રભાઈ 15 વર્ષથી મહારાજા કોમ્પલેક્ષ ખાતે આવેલા વિકાસ પાન પાર્લરથી મસાલો લેતાં આવ્યા છે.
આ ઉપરાંત ભુપેન્દ્રભાઈ દાદા ભગવાનમાં ખૂબ જ નિષ્ઠા ધરાવે છે. અડાલજ સ્થિત ત્રિમંદિરની તેઓ નિત્ય મુલાકાત લેતા રહે છે અને નવરાશની પળોમાં માનસિક શાંતિ મેળવવા દાદા ભગવાન ફાઉન્ડેશનના દિવંગત વડા સ્વ. નિરુમાના પ્રવચનોને સાંભળતા રહે છે. નિરુમા હયાત હતા તે સમયે તેમના નિત્ય આશીર્વાદ મેળવનારા ભૂપેન્દ્રભાઈ તેમની સ્મૃતિરુપે જ તેઓ જમણા હાથના કાંડા પર હંમેશા ‘નિરુમા’ લખેલું રક્ષા સૂત્ર પહેરેલું જ રાખે છે.
દાદા ભગવાન ફાઉન્ડેશન સાથે જેઓ વર્ષોથી સંકળાયેલા હોય તેમજ કેટલીક ચોક્કસ મહત્ત્વપૂર્ણ જ્ઞાનવિધિ મેળવી હોય તેને મહાત્માનો દરજ્જો આપવામાં આવે છે. આ ઉપરાંત સીમંધર સ્વામીની પ્રતિમાને માનસિક રુપે હંમેશા માથે રાખીને તેમના નિયમોનું પાલન કરવું પણ મહાત્માઓ માટે જરૂરી છે. દાદા ભગવાન ફાઉન્ડેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્રભાઈ વર્ષો પહેલાં જ મહાત્માનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યા છે અને કોઈને પણ ખોટું ન લાગે તેવા આચાર-વિચારના વર્તન અને નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે.
ભૂપેન્દ્ર પટેલનો દીપકભાઈ દેસાઈના સત્સંગનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ જણાવે છે કે આમ તો ટીમમાં લાગેલા રહીએ એવી ભાવના મારી પહેલાથી હતી. અને નીરુમાને કીધેલું કે મારા મગજમાં એટલું ફીટ કરી દીધું છે કે કોઈ બી એક ધોળો ઝભ્ભો પકડી રાખવાનો. અહીયાથી છૂટાય નહીં એટલું હતું મારા માટે કેમ કે પહેલા એટલી બધી ફાઈલો વધારેલી કે પહેલા ખાલી ફાઈલો જ વધારવાનું હતું. પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે આપણે ખોટું કરી રહ્યા છીએ. 2001માં જ્ઞાન લીધા પછી વધારેને વધારે સત્સંગ મળતો રહ્યો છે. આશીર્વાદ પણ આપના ખૂબ મારા પર રહ્યા છે. દાદાના આશીર્વાદ કહેવાય કે આટલી રાજકીય પ્રવૃતિ હોવાછતાં એક પણ સત્સંગ મિસ નથી કર્યો એવું કહીએ તો ચાલે. પારાયણ તો બધી મારાથી એટન્ટેડ થાય થાય ને થાય. ખૂબ સારા આશીર્વાદ રહ્યા છે કે લોકડાઉનમાં અદભૂત ચાવી મળી ન શકી હોત મને ક્યારે એવી ચાવીનો અનુભવ કહું. લોકડાઉન દરમિયાન મને માંદગી આવી અને લાંબું ચાલ્યું લગભગ બે મહિના સુધી આમ તો સત્સંગમાં ચિરાગ ભાઈ સાથે રહેતા હોઈએ એટલે સત્સંગ અને બ્રહ્મચર્યનું થયું. આ પુસ્તક વાંચુ નહીં પણ સાંભળું બધુ. પણ વાંચવાનું બહુ ઓછું અને આ પુસ્તક વાંચ્યા. આ બે પુસ્તક વાંચ્યા પછી મને લાગ્યું કે આ બે પુસ્તક વાંચ્યા વગર બધુ અધૂરું રહી જાય. પુસ્તક વાંચતા હોય ત્યારે દાદા રૂબરૂ બોલતા હોય તેવું થાય. દાદા હાજરાહાજુર છે. આ બે પુસ્તક ન વાંચ્યા હોય તો ક્યાંક ને ક્યાંક અટકી પડત. પરંતુ બે મહિનાની માંદગી આવી તો બે પુસ્તક પૂરા થઈ ગયા.
ભુપેન્દ્રભાઈના પત્ની હેતલબહેન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ક્યારેય વિચાર્યું ન હતું કે મારા પતિને આટલી મોટી જવાબદારી સોંપાશે, અત્યાર સુધી તેમને જે પણ જવાબદારી સોંપાઈ છે તેમને કાયમ જવાબદારી નિભાવી છે. ભૂપેન્દ્ર પટેલની પત્નીએ જણાવ્યું હતું કે, ક્યારેય વિચાર્યું જ નહોતું, એટલું હતું કે ભૂપેન્દ્રને જે જવાબદારી સોંપશે તે પૂરી કરશે પરંતુ આટલી મોટી મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપશે તેવું ક્યારેય નહોતું વિચાર્યું. અત્યારે ખૂબ આનંદ છે, પાર્ટીએ વિશ્વાસ મૂકીને જવાબદારી આપી છે, જેથી ભૂપેન્દ્ર વિશ્વાસ પર ખરે ઉતરે એ જ આશા છે.
તેમણે જણાવ્યું હતું કે, સાંજે 4.05 વાગ્યે અમને ટીવી દ્વારા ખબર પડી કે તેમનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થયું છે. મેં તરત જ મારા પુત્રને ઊંઘમાંથી ઉઠાડીને સમાચાર આપ્યા. અમારા ઘરમાં કોઈ જ રાજકારણની વાતો થતી નથી, કેમ કે પરિવારમાં તેઓ માત્ર જ રાજકારણમાં છે. મંત્રીમંડળમાં તેમને ક્યારેક પદ મળે એવી અમને આશા હતી, પરંતુ તેઓ ચીફ મિનિસ્ટર બનશે એ તો ક્યારેય નહોતું વિચાર્યું.