ભારતે વેસ્ટ ઈન્ડિઝને બીજી T20માં હરાવતા જ એવા સમાચાર આવ્યા છે કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામેની T20 સીરીઝનો ભાગ નહીં હોય. તેને બાયોબબલમાંથી 10 દિવસનો બ્રેક આપવામાં આવ્યો છે.
કોહલી હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચ નહીં રમે. શુક્રવારે પીટીઆઈના અહેવાલ મુજબ, કોહલી 24 ફેબ્રુઆરીથી લખનૌમાં શરૂ થનારી શ્રીલંકા સામેની ત્રણ મેચની T20I શ્રેણીને ચૂકી જશે, ત્યારબાદ 26 અને 27 ફેબ્રુઆરીએ ધર્મશાલામાં વધુ બે T20I રમશે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે, ‘કોહલી શનિવારે સવારે ઘરે જવા રવાના થઈ ગયો છે કારણ કે ભારત પહેલાથી જ T20 શ્રેણી જીતી ચૂક્યું છે. બીસીસીઆઈએ નિર્ણય લીધો છે કે, બાયોબબલમાંથી તમામ નિયમિત તમામ ફોર્મેટના ખેલાડીઓને સમયાંતરે વિરામ આપવાની નીતિ રહેશે જેથી કરીને તેમના કામનો બોજ વધારે ન હોય અને ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે.
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી કોહલી માટે ઘણી મહત્વની છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં વિરાટનું ફોર્મ સતત ઘટી રહ્યું છે. કોહલી 2 વર્ષથી સદી ફટકારી શક્યો નથી. આવી સ્થિતિમાં શ્રીલંકા સામે વિરાટ પોતાના ફોર્મમાં પરત આવવાનો પ્રયાસ કરશે. જો કે, કોહલી મોહાલીમાં 100મી ટેસ્ટ મેચ રમશે.
નોંધનીય છે કે, વિરાટે બીજી T20માં 52 રનની ઇનિંગ રમી હતી. કોહલી પોતાની ઇનિંગમાં 41 બોલનો સામનો કરવામાં સફળ રહ્યો હતો. કોહલી 7 ફોર અને 1 સિક્સર ફટકારવામાં પણ સફળ રહ્યો હતો. જો કે વિરાટ અડધી સદી ફટકારીને આઉટ થયો હતો, પરંતુ તેની ઇનિંગ્સે ભારતને 186 રન સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.