કોંગ્રેસમાં સતત નારાજગીનો દોર યથાવત રીતે ચાલી રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રવક્તા જયરાજસિંહ પરમારને ભાજપમાં જોડાયા 24 કલાક પૂર્ણ નથી થયા ને હવે વધુ એક કોંગ્રેસ નેતાએ રાજીનામું આપી દીધું છે. AMC પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. દિનેશ શર્માએ રાજીનામાં માંગતો પત્ર બુધવારે સવારે 10 કલાકે જગદીશ ઠાકોરને આપ્યો હતો.
નોંધનીય છે કે, 21મી ફેબ્રુઆરીએ AMCના કોંગ્રેસ પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ ઉર્દુમાં શાયરી ટવીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસ પક્ષને નુકસાન કરતા લોકોને આડેહાથે લીધા હતા. તેમણે પક્ષને પક્ષમાં રહીને નુક્સાન કરતાં લોકો પર સોશિયલ મીડિયામાં શાયરી પોસ્ટ કરીને નિશાન સાધ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, તઓ ટૂંક સમયમાં કોંગ્રેસને નુકસાન કરનારા નેતાઓના નામ જાહેર કરશે.
દિનેશ શર્માએ સોશિયલ મીડિયામાં હું ચૂપ નહીં રહું તેવું લખીને સ્પષ્ટ સંકેતો આપ્યાં હતાં કે, તેઓ દિલ્લી સુધી કોંગ્રેસ વિરોધી તત્વોની ફરિયાદ કરીશ અને જરૂર પડશે તો નેતાઓના નામ જાહેર કરીશ. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓ લોહિ રેડી કોંગ્રેસ પક્ષનું સિંચન કર્યું છે. પરંતુ આજે પાર્ટીમાં કેટલાક ખોટા નિર્ણય લેવામા આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસની અંદર ચાલતા આંતરકલહને લઇ તેમણે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. 13 વર્ષના ભાજપના શાસનનો અંત લાવ્યા બાદ કોંગ્રેસે છેલ્લે 2000માં AMC ચૂંટણી જીતી હતી. પરંતુ ત્યારથી તે તેના પ્રદર્શનનું પુનરાવર્તન કરવામાં સક્ષમ નથી જેથી કંટાળીને રાજીનામું આપ્યું હતું.