કેન્દ્ર સરકાર ગુરુવારે એરલાઈન એર ઈન્ડિયાને તાતા ગ્રુપને સોંપી શકે છે. લગભગ 69 વર્ષ પહેલા ગ્રુપ પાસેથી એરલાઈન લીધા બાદ હવે તેને ફરીથી તાતા ગ્રુપને સોંપવામાં આવી રહી છે, અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી. સરકારે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા બાદ 8 ઓક્ટોબરે એર ઈન્ડિયાને ટેલ્સ પ્રાઈવેટ લિમિટેડને રૂ. 18,000 કરોડમાં વેચી દીધી હતી. તે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપનીની પેટાકંપની છે.
અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થવાના આરે છે. એર ઈન્ડિયાને ગુરુવારે ગ્રુપને સોંપવામાં આવે તેવી શક્યતા છે. દરમિયાન, બે એરલાઇન પાઇલટ યુનિયન, ઇન્ડિયન પાઇલોટ્સ ગિલ્ડ (IPG) અને ઇન્ડિયન કોમર્શિયલ પાઇલટ્સ એસોસિએશન (ICPA) એ એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ દેવ દત્તને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે. તેનું કારણ પાયલોટના લેણાં પર કપાત અને વસૂલાત હોવાનો અંદાજ છે.
આ સિવાય અન્ય બે યુનિયનોએ તેમની ફ્લાઈટ્સ પહેલા એરપોર્ટ પર ક્રૂ મેમ્બર્સના બોડી માસ ઈન્ડેક્સ (BMI) માપવાના કંપનીના 20 જાન્યુઆરીના આદેશનો વિરોધ કર્યો છે. એર ઈન્ડિયા એમ્પ્લોઈઝ યુનિયન (AIEU) અને ઓલ ઈન્ડિયા કેબિન ક્રૂ એસોસિએશન (AICCA) એ સોમવારે દત્તને પત્ર લખીને આદેશનો વિરોધ કરતા કહ્યું કે તે અમાનવીય છે અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન છે.