અમદાવાદના ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે. ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં કિશન નામના માલધારી યુવકનું મૃત્યુ થયુ હતુ. ગુરૂવાર સવારથી આ મામલે ધંધુકામાં પરિસ્થિતિ વણસેલી જોવા મળી રહી છે. માલધારી યુવક કિશનની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા માહોલ તંગ બન્યો હતો ગુરુવારે સવારથી જ ધંધુકા સજ્જડ બંધ જોવા મળ્યું હતુ. આ બનાવ બનતા જ જિલ્લાનું પોલીસતંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. સમગ્ર ધંધુકામાં આ બનાવને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ધંધુકા ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધુકામાં મુકવામાં આવ્યા હતાં.
ધંધુકામાં પોલીસ કાફલો ખડકાયો
ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસે તપાસ શરુ કરી તો જાણવા મળ્યું કે થોડા દિવસ પહેલા જ મૃત્યુ પામનાર કિશને એક ધર્મ વિરુધ્ધ સોશિયલ મીડિયામાં વિવાદીત પોસ્ટ કરી હતી, જેની અદાવત રાખીને કેટલાક લોકોએ આ પ્રકારે બદલો લીધો હોઇ શકે. આ વિવાદીત પોસ્ટને લઇને જે તે સમયે કિશન સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. એ બનાવ બન્યા બાદથી કિશન પોતાના ઘરે જ હતો અને જેવો તે પોતાના ઘરેથી નીકળ્યો તરત આ ઘટના બની તેથી પોલીસનું માનવું છે કે મોકાનો લાભ લઇને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોઇ શકે. અમદાવાદ ગ્રામ્ય રેન્જ આઈજી, એસપી, બે ડીવાયએસપી, પાંચથી વધુ પીઆઇ, સાતેક પીએસઆઇ તથા અડધા જિલ્લાની પોલીસ ખડકી દેવાઈ છે. તપાસ એસઓજી ને સોપાતા એસલસીબી એસઓજી પણ તપાસમાં જોતરાઈ છે.
કિશનની હત્યાને પગલે મામલો ઉગ્ર બન્યો.
મૃતકની હત્યાને પગલે મામલો ઉગ્ર બન્યો. મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકો રોષે ભરાયા અને પોલીસે આગેવાનો ની મદદ લઇ મામલો થાળે પાડ્યો. સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે બેઠક થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો અને હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમવિધિ કરવાનું પોલીસે આયોજન કર્યું. તો બીજી તરફ મૃતકની હત્યા પાછળ સોશ્યલ મીડિયાની પોસ્ટ હતી કે અન્ય કોઈ કારણ તે આરોપીઓ ઝડપાયા બાદ સામે આવશે. હાલ તો શકમંદોની અટકાયત કરી પોલીસ ઊંડાણપૂર્વક તપાસના કામે લાગી ગઈ છે.