અમદાવાદ,16 માર્ચ 2022: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રંગોત્સવ હોળીના તહેવારને મનાવવાનો થનગનાટ ઉડીને આંખે વળગી રહ્યો છે. મુસાફરોને હોળીના મેઘધનુષી રંગોમાં તરબોળ કરવા એરપોર્ટ પરિસરમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોને વરલી અને માંડલ જેવી પરંપરાગત કળાના વિવધ સ્વરૂપોથી માહિતગાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં વિવિધ કળાને માણવાનો અનુભવ સેલ્ફીમાં પણ કેદ કરી રહ્યા છે.
આજના યાંત્રિક જીવનની શુષ્કતામાં ઉત્સાહના રંગો પૂરવા SVPI એરપોર્ટ પર ભારતીય કળાની વૈવિધ્યસભરતાનું આબેહૂબ નિદર્શન કરાવવામાં આવ્યું છે. મુસાફરો રંગબેરંગી માહોલમાં મંડલા અને વરલી જેવી પરંપરાગત કળાનો અદભૂત અનુભવ પણ માણી શકે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર આવા આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોને ભારતીય કળા-સંસ્કૃતિના અનેકવિધ સ્વરૂપો વિશે જાણકારી આપવાનો છે.
મંડલા કળા એક પરંપરાગત ડિઝાઇન પેટર્ન છે, જેમાં દેવી-દેવતાઓ અને બ્રહ્માંડનું નિદર્શન કરવામાં આવે છે. જ્યારે વરલી કળાને ઐતિહાસીક કળાના પ્રાચીન સ્વરૂપોમાંનું એક માનવામાં આવે છે. એરપોર્ટ પર મુસાફરો આવી અમૂલ્ય કળાઓ વિશે વિનામુલ્યે જાણી માણી અને શીખી પણ શકે છે. એટલું જ નહી, એરપોર્ટ પરથી પ્રસ્થાન કરતા પહેલા મુસાફરો હાથે બનાવેલા ગુંજિયા અને ઠંડાઈનો સ્વાદ પણ મન ભરીને માણી પણ શકે છે.
ડોમેસ્ટિક ટર્મિનલના સિક્યોરિટી હોલ્ડ એરિયામાં ઓર્ગેનિક હોળીના રંગોનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે.મુસાફરો તહેવારનો આનંદ પ્રવાસ દરમિયાન પણ અનુભવી શકે તે માટે ટર્મિનલની અંદર અને બહાર રંગબેરંગી લાઇટિંગ સાથેના મોટા સ્થાપનો ગોઠવવામાં આવ્યા છે.
અહીંની અદભૂત યાદો જીવંત રાખવા પ્રવાસીઓ તેને સેલ્ફી કોર્નરમાં પણ કેદ કરી રહ્યા છે. તહેવારોની ઉજવણીમાં આપણી સંસ્કૃતિની સુવાસ જળવાઇ રહે એ મહત્વનું છે, ભારતીય કળા-સંસ્કૃતિના વિવિધ રંગોને જીવંત રાખવાનો SVPI એરપોર્ટનો આ પ્રયાસ પ્રસંશનીય છે.