રાજ ઠાકરેને ઝાટકો : ‘મસ્જિદોમાં લાઉડસ્પીકર’ના નિવેદન બાદ MNSના ઘણા મુસ્લિમ પદાધિકારીઓએ પાર્ટી છોડી
Listen Article
Getting your Trinity Audio player ready...
|
રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ને મોટો ઝટકો લાગ્યો છે. પુણેમાં MNSના ઘણા મુસ્લિમ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કારણ છે મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાનું રાજ ઠાકરેનું નિવેદન. પુણે શાખાના વડા માજિદ અમીન શેખ સહિત ઘણા લોકોએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સિવાય MNSના કેટલાક અન્ય મુસ્લિમ કાર્યકરો પણ રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ શિવસેનાએ MNSને બીજેપીની C ટીમ ગણાવી છે.. તો MNSએ પલટવાર કર્યો અને શિવસેનાને NCPની D ટીમ ગણાવી.
રાજ ઠાકરેના નિવેદન બાદ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં MNS નેતાઓ દ્વારા લાઉડસ્પીકર દ્વારા હનુમાન ચાલીસા વગાડવાનો સિલસિલો ચાલુ છે. આદિત્ય ઠાકરેના વિધાનસભા ક્ષેત્ર વરલીમાં પણ, MNS નેતાઓએ લાઉડસ્પીકર પર ઉગ્રતાથી હનુમાન ચાલીસા વગાડી હતી.
રાજ ઠાકરેએ શું કહ્યું
જણાવી દઈએ કે શનિવારે MNS પ્રમુખ રાજ ઠાકરેએ મસ્જિદોના લાઉડસ્પીકર બંધ કરવાની માંગ કરી હતી. ઠાકરેએ શિવાજી પાર્કમાં એક રેલીમાં કહ્યું હતું, “મસ્જિદોમાં લાઉડસ્પીકર આટલા જોરથી કેમ વગાડવામાં આવે છે? જો આને રોકવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર સ્પીકર પર મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની વિરુદ્ધ નથી. મને મારા ધર્મ પર ગર્વ છે.
હનુમાન ચાલીસા સતત વગાડવામાં આવે છે
મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ MNS કાર્યકર્તાઓ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડી રહ્યા છે. થાણેમાં, સ્થાનિક MNS કાર્યકરો રવિવારે કલ્યાણના સાંઈ ચોકમાં પાર્ટી કાર્યાલયની બહાર ભેગા થયા, લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડી અને મોટેથી તેનો નારા લગાવ્યા. તેઓએ ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવ્યા હતા.મનસે કલ્યાણ એકમના પ્રમુખ ઉલ્હાસ ભોઈરે આ વિશે મીડિયાને જણાવ્યું હતું કે પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટીના વડાના આદેશનું પાલન કરવામાં ક્યારેય અચકાશે નહીં.
પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી
મુંબઈના અસલ્ફા વિસ્તારમાં પાર્ટીના એક કાર્યકરની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં રવિવારે બપોરે તેને છોડી દેવામાં આવ્યો હતો. ઘાટકોપર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે મહેન્દ્ર ભાનુશાળીને ત્યારે કસ્ટડીમાં લેવામાં આવ્યો જ્યારે તેણે ચાંદિવલીના અસલ્ફામાં હિમાલયા સોસાયટીમાં એક ઝાડ પર લાઉડસ્પીકર લગાવીને હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કર્યું.