રાજ્યમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી છે અને પહેલી લહેરના સમયે જેમ ચિંતા વધતી હતી તેવી જ સ્થિતીમાં ફરીએકવાર આવી ગયા હોઇએ તેમ લાગી રહ્યું છે. આજે પણ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો જે આંક સામે આવ્યો છે તેણે તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. આજે ઓમિક્રોનના કેસમાં પણ વધારો નોંધાયો છે. શુક્રવારે 180 દિવસ પછી કોરોનાના 100 થી વધુ કેસ નોધાયા હતા. તે પહેલા આ આંકડો 111નો હતો. 2 દર્દીઓના કોરોનાને કારણે મોતના સમાચાર પણ આવ્યા. ઓમિક્રોનનો આતંક સમગ્ર વિશ્વને ડરાવી રહ્યો છે અને આપણા દેશમાં પણ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં જ ઓમિક્રોન દર્દીઓની સંખ્યા 30 થી પણ વધુ થઇ ચુકી છે. સૌથી ચિંતાજનક બાબત જે સામે આવી છે તે એ છે કે જે કેસ સામે આવી રહ્યા છે તેમાં બધા ટ્રાવેલ હીસ્ટરી ધરાવતા દર્દીઓ જ નથી. હાઇ રીસ્ક દેશોમાંથી આવેલા યાત્રીકો વધુ પ્રમાણમાં સંક્રમિત હોવાનું સામે આવ્યું છે પણ હવે ટ્રાવેલ હીસ્ટરી વગરના લોકો ઓમિક્રોન સંક્રમિત થતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. સતત વધતા ડેલ્ટા અને ઓમિક્રોનના કેસને લઇને ત્રીજી લહેરની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આશંકાને પગલે રાજ્ય સરકારો ફરી નિયંત્રણો લાગુ કરવાનું મન બનાવી ચુકી છે. વેક્સીનેશન અભિયાનને વેગ આપવા માટે પણ પગલા ભરવામાં આવશેજેને વેક્સીનના બન્ને ડોઝ બાકી હશે તેમને શોધીને વેક્સીન આપવામાં આવશે.જેને બીજો ડોઝ બાકી છે તેઓને પણ વેક્સીન આપવા માટે કવાયત હાથ ધરાશે. બુસ્ટર ડોઝની અનિવાર્યતાને લઇને પણ હાલ વિચારણા કરવામાં આવી રહી છે.કોરોનાની ગાઇડલાઇનના પાલન માટે પણ ફરી તંત્ર કડક કાર્યવાહી કરશે. મેળાવડા પર પણ અંકુશ સરકાર લગાવી શકે છે.શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોરોનાની સ્થિતીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યમાં અપાયેલી છૂટછાટો ઓછી કરીને નિયંત્રણો લાદવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નવા વર્ષની ઉજવણીમાં પણ યુવાધન પ્રતિવર્ષ ઉમટી પડતું હોય છે અને આ તરફ કોરોનાનું સંક્રમણ વધતા ત્રીજી લહેરની આશંકા વધતા રાજ્ય સરકારે 8 મનપામાં નાઇટ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. નાઇટ કર્ફયુમાં છુટછાટ આપીને તેનો સમય રાત્રે 1 વાગ્યાથી સવારના 5 વાગ્યાનો કરવામાં આવ્યો હતો જે બદલીને રાત્રે 11 વાગ્યાથી લઇને સવારના 5 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. જેનો અમલ આવતીકાલ 25 ડિસેમ્બરથી કરવામાં આવ્યો છે. કર્ફ્યુનો સમય ક્યારે ક્યારે બદલાયો ? કોરોનાની બીજી લહેરના સમયે એપ્રિલ મહિનામાં કર્ફ્યુનો સમય રાતના 8 થી લઇને સવારના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો. એક મહિના બાદ એટલે કે મે મહિનામાં એક કલાકની રાહત આપવામાં આવી અને સમય બદલીને રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો. કોરોના થોડો હળવો થતા રાત્રિ કર્ફ્યુમાં પણ ત્યાર બાદ હળવાશ જોવા મળી અને સમય બદલાઇને રાતના 10 થી સવારના 6 નો સમય કરવામાં આવ્યો. જન્માષ્ટમીના પર્વ પર કર્ફ્યુ રાત્રે 1 વાગ્યાથી અને ગણેશોત્સવના 10 દિવસો દરમિયાન કર્ફ્યુ રાત્રે 12 વાગ્યાથી લઇને સવારે 6 વાગ્યા સુધી લાગુ કરાયો. દિવાળીના સમયે સમય બદલવામાં આવ્યો અને કર્ફ્યુ રાત્રે 1 થી સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો. ફરી કોરોનાનું સંક્રમણ વધતા અને ઓમિક્રોનના પગપેસારા બાદ તંત્ર દ્રારા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે અને લાંબા સમયથી રાત્રી કર્ફ્યુની છુટછાટમાં ફરી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યની 8 મહાનગર પાલિકામાં આવતીકાલ 25 ડિસેમ્બરથી રાત્રિ કર્ફ્યુ રાતના 11 વાગ્યાથી લાગુ કરવામાં આવશે જે સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ નિર્ણયની સાથે જ નવા વર્ષની ઉજવણી કરવા થનગની રહેલા લોકોમાં નિરાશા વ્યાપી ગઇ છે.
×