ભારતીય ક્રિકેટ ટીમના ઓફ સ્પીનર હરભજન સિંહે આજે આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. હરભજન સિંહ 23 વર્ષ ભારતીય ક્રિકેટ ટીમ માટે રમ્યા અને 2 વર્લ્ડ કપ જીતવાવાળી ટીમના સભ્ય પણ રહ્યા છે. ભારત 2007 માં ટી-20 અને 2011 માં વનડે વર્લ્ડ કપ જીત્યું હતું અને તે ટીમમાં હરભજનનો પણ સમાવેશ હતો. હરભજને ટ્વીટ કરીને આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધાની જાણકારી આપી હતી. જોકે, હરભજને ક્રિકેટમાંથી સંન્યાસ લેતા જ એ ચર્ચાઓ પણ શરૂ થઇ ચુકી છે કે હરભજનની કારકિર્દીમાં હવે તેમનું આગળનું પગલું આખરે શું હશે ?
આઇપીએલમાં કોઇ ટીમના હરભજન કોચ બનશે કે પછી તેઓ રાજકીય પારીની શરૂઆત કરશે ? આ મુદ્દા પર પણ અટકળો તેજ થઇ ચુકી છે. આ ચર્ચા જોકે એમજ નથી થઇ રહી, હરભજન જોગાનુજોગ થોડા દિવસો પહેલા જ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિધ્ધુને મળ્યા હતા. સિધ્ધુ સાથેની હરભજનની મુલાકાતના નવ દિવસ બાદ જ ક્રિકેટજગતમાંથી સન્યાસની જાહેરાતથી આ અટકળો થવી સ્વાભાવિક છે. તેમાં પણ આ મુલાકાત બાદ નવજોત સિંહ સિધ્ધુએ તેમની મુલાકાતનો એક ફોટો પણ શેર કર્યો હતો અને તેમાં કેપ્શન આપતા લખ્યું હતું, ‘સંભાવનાઓથી સભર એક તસવીર… ચમકતા સિતારા ભજ્જી સાથે’ ! છેલ્લા કેટલાય સમયથી પંજાબમાં આ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે હરભજનને કોંગ્રેસ પાર્ટી આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જલંધર બેઠકથી ચૂંટણી મેદાને ઉતારવા માંગે છે. આ અટકળોની વચ્ચે હરભજન અને સિધ્ધુની મુલાકાત અને તેમાં પણ હરભજનનો ક્રિકેટમાંથી સન્યાસ આ બંને વાતોનો સંજોગ આ વાતને હવા આપવા માટે પૂરતા છે. જોકે, ભજ્જી હજૂ કોંગ્રેસમાં સામેલ થયા નથી અને કોંગ્રેસ તરફથી પણ કોઇ સ્ટેટમેન્ટ આ અંગે આપવામાં નથી આવ્યું.
ભજ્જી ભાજપમાં જોડાયાની પણ ઉડી હતી અફવાઆ
પહેલા ભજ્જી ભાજપમાં સામેલ થયાની પણ અફવા ઉડી હતી, જેને લઇને ખુદ હરભજનસિંહે સામે આવીને સ્પષ્ટતા આપવી પડી હતી. તેમણે સોશિયલ મિડીયામાં ચાલતી વાત માત્ર ખોટી અફવા હોવાનું જણાવ્યું હતું અને સાથે જ કહ્યું હતું કે આ વાત પાયામાંથી જુઠ ફેલાવવામાં આવી રહી છે. 2017ની વિધાનસભા ચૂંટણી ટાણે પણ હરભજન કોંગ્રેસમાં જોડાયાની ચર્ચાઓ તેજ થઇ હતી પણ ત્યારે પણ આ માત્ર અફવા જ ઠરી હતી. પંજાબમાં ભાજપના નેતાઓ સીખ ચહેરાની ખોજમાં છે, અને કેટલાક નેતાઓએ એમ પણ જણાવ્યું કે તેમના સંપર્કમાં કેટલાય મોટા માથા છે. જોકે, પંજાબમાં ચૂંટણી છે તેથી કોણ કઇ પાર્ટીમાં આવશે કે કોણ કઇ પાર્ટીમાંથી જશે તેની અટકળો તો લાગતી જ રહેશે.