આપણા દેશની આવકનો સૌથી મોટો સ્ત્રોત ખેતી છે, ખેતી અને ખેતી કરતા ખેડૂતો આપણા દેશનું મહત્વપૂર્ણ, અનિવાર્ય અને અભિન્ન અંગ છે. આજે પણ આપણા દેશમાં અડધાથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. ભારતમાં કૃષિએ વિકાસના અનેક આયામો જોયા છે. પરંપરાગત ખેતીથી લઇને આધુનિક ખેતી સુધીની સફરમાં આપણે અનેક વળાંકો અને ઉતાર ચઢાવ પણ જોયા કૃષિ ક્ષેત્રમાં.
60 ના દાયકામાં આવેલી હરિયાળી ક્રાંતિથી પંજાબ અને હરિયાણાની સાથે સાથે સમગ્ર દેશમાં કૃષિનું ચિત્ર બદલાઇ ગયું હતું. ત્યારે દેશનો આર્થિક વિકાસ તો થયો જ પણ ખેડૂતોની અનિવાર્યતા અને જરૂરિયાત સરકારથી લઇને સામાન્ય માણસ સુધીના દરેક વર્ગને સમજાઇ.
રાષ્ટ્રીય કિસાન દિવસનો ઇતિહાસ :
આપણા દેશના પાંચમા પ્રધાનમંત્રી ચરણ સિંહના સન્માનમાં આ દિવસનું આયોજન કરવામાં આવે છે. ખુબ ટુંકો તેમનો પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ રહ્યો પણ ચરણ સિંહે ખેડૂતોના હિતમાં અનેક નીતિઓ બનાવી. ચૌધરી ચરણ સિંહે કૃષિ ક્ષેત્ર માટે બીલ રજૂ કર્યા. તેમણે ન માત્ર ખેડૂતોના હિતમાં નીતિઓ બનાવી, તેમણે બનાવેલી નીતિઓએ ખેડૂતોના હિતોનું રક્ષણ કર્યું અને તેમને જમીનદારો સાથે એક થઇને લડવા માટે પ્રેરણા આપી હતી. તેઓ ખરેખર તત્કાલીન પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીએ આપેલા ‘જય જવાન જય કિસાન’ નારાને સાચા અર્થમાં અનુસરતા હતા.
આ ઉપરાંત ચૌધરી ચરણ સિંહે ખેડૂતોને બચાવવા માટે જવાહરલાલ નહેરૂની સામૂહિક ભૂમિ ઉપયોગ નીતિ સામે લડાઈનું નેતૃત્વ પણ કર્યું હતું.
ચૌધરી ચરણસિંહ ખુબ સારા લેખક પણ હતા અને તેમણે તેમની લેખનકલાનો ઉપયોગ ખેડૂતોની સમસ્યા અને તેના ઉકેલોના પુસ્તકો લખીને કર્યો હતો.
ક્યાં ક્યાં ઉજવાય છે ?
દેશના ખૂણે ખૂણે વસતા ખેડૂતોને મન આજના દિવસનું અનેરૂ મહત્વ છે જ પણ આપણા દેશમાં અનેક રાજ્યો એવા છે જ્યાં સૌથી વધુ ખેતી થાય છે, ત્યાં તો આ દિવસને ઉત્સવની જેમ મનાવવામાં આવે છે.
ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ જેવા અનેક રાજ્યોમાં આજના દિવસને તહેવારની જેમ આપણા ખેડૂતો ઉજવે છે.
ખેડૂતો દ્રારા કૃષિ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અમે કૃષિમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પણ કરાય છે. ખેડૂતોના વિકાસ માટે કામ કરતા લોકોનું સન્માન આજના દિવસે કરવામાં આવે છે.
ખેડૂતો વિના તો જીવન અને અસ્તિત્વની કલ્પના પણ કરી શકાતી નથી. આપણા સમાજનો આ એક એવો વર્ગ છે કે જે આપણી જાળવણીનું ધ્યાન રાખે છે અને બદલામાં તેમના અધિકારોનું રક્ષણ થાય તેટલું જ ઇચ્છે છે.
દેશના ખેડૂતો આપણા દેશની કરોડરજ્જુ છે, તેથી પણ તેમના હિતોનું રક્ષણ એ આપણી તમામની ફરજ બને છે. આપણા અનન્દાતાને સન્માનવાનો કે આદર આપવાનો આજનો દિસ તો મહત્વપૂર્ણ ખરો જ પણ દિવસમાં જ્યારે પણ ભોજન લઇએ તેટલી વાર આપણે તેમના ઋણી બનીએ છીએ. તેથી તેમના માટે જ તો તેમના ઋણમાંથી મુક્ત ન થઇ શકીએ.
કિસાન દિવસની ન માત્ર દેશના ખેડૂતોને પણ દેશના તમામ નાગરિકોને શુભેચ્છાઓ…