દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય એટલે ઉત્તર પ્રદેશ. ભારતમાં વિધાનસભાની કુલ 4,121 બેઠકો છે અને તેમાં સૌથી વધુ વિધાનસભાની બેઠકો ઉત્તર પ્રદેશમાં છે. 404 વિધાનસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશ માટે કહેવાય છે કે દિલ્હી એ રાજકીય પક્ષ સર કરે છે જે ઉત્તર પ્રદેશની જનતાનું મન જીતે છે. કેન્દ્રની ગાદી સુધી પહોંચવાનો રસ્તો ઉત્તર પ્રદેશ થઇને જાય છે તેવું રાજકીય પંડિતો માને છે. એવામાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માથે છે અને ઉત્તર પ્રદેશને સર કરવામાં તમામ રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે.
2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ ઐતિહાસિક જીત હાંસિલ કરી હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 403માં થી 312 બેઠકો મેળવી હતી, એસ પી એટલે કે સમાજવાદી પાર્ટીની 47 બેઠક પર જીત મેળવી હતી જ્યારે બહુજન સમાજ પાર્ટીને 19 બેઠકો પ્રાપ્ત થઇ હતી. ત્યારે સૌથી જુની પાર્ટી કોંગ્રેસે માત્ર 7 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
2017માં બીજેપી પાસે મુખ્યમંત્રીનો ચહેરો નહોતો પણ આ ચૂંટણીમાં બીજેપી પાસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો 5 વર્ષનો અનુભવ અને તેમનો મુખ્યમંત્રીનો ચહેરો પણ છે.
આ તરફ કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધી પણ આક્રમક પ્રચાર કરી રહ્યા છે અને લાંબા સમયથી યુપીમાં મહેનત કરી રહ્યા છે. મહિલાઓ માટે અને મહિલાઓની ભાગીદારી વધારવાની પણ અનેક જાહેરાતો કરી ચુક્યા છે. કોંગ્રેસની પરંપરાગત બેઠક અમેઠી 2017માં ગુમાવ્યા બાદ તેમણે તેને પરત મેળવવા માટે પણ પ્રયાસો શરૂ કર્યા છે. આજે પણ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી અમેઠીના પ્રવાસે છે અને પદયાત્રા યોજીને જનસંપર્ક વધારવાનો પ્રયાસ કરવાના છે.
સમાજવાદી પાર્ટી પણ તેના આંતરિક પ્રશ્નોમાંથી બહાર નીકળી યુપીની જનતાનું મન જીતવા પ્રયાસો કરશે, તો આ તરફ બહુજનસમાજવાદી પાર્ટી પણ ચૂંટણી મેદાને હશે. આ બન્ને પાર્ટી 2017માં સ્વતંત્ર રીતે ચૂંટણી જંગમાં હતી અને 2019ની ચૂંટણીમાં તેઓ ગઠબંધનમાં હતા. અસદુદ્દીન ઔવેસી કેટલી બેઠકો પ્રભાવિત કરશે તેના પર નજર હશે તો સાથે આમ આદમી પાર્ટી પણ યુપીના મેદાનમાં ઝંપલાવી શકે છે.
રાજકીય રીતે ખુબ જ મહત્વપૂર્ણ રાજ્યને જીતવા તમામ રાજકીય પક્ષો દમખમ લગાવી રહી છે, તૈયારીઓમાં કોઇ કસર ન રહી જાય તેની તકેદારી રાખી રહી છે.
તે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ અભિયાનનો નવો અધ્યાય શરૂ કરવાના છે. આજે પીએમ શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વે ની આધારશિલા મુકવાના છે. 28 ડિસેમ્બરે પીએમ કાનપુરમાં મેટ્રોનું લોકાર્પણ પણ કરવાના છે. 18 થી 28 ડિસેમ્બર સુધી પીએમ યુપીની મુલાકાતે જવાના છે. ગંગા એક્સપ્રેસ વે નું આજે શિલાન્યાસ થવાનું છે, તે ખુબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવે છે. ગંગા એક્સપ્રેસ વે મેરઠથી પ્રયાગરાજ સુધી 12 જિલ્લાને આવરી લેશે. આ એક્સપ્રેસ વે યુપીના પૂર્વી અન પશ્ચિમી ક્ષેત્રને જોડશે. 36,200 કરોડ રૂપિયા આ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યા છે જે યુપીનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. જેને 2024 સુધી તૈયાર કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. યુપીના વિકાસને રફ્તાર આ એક્સપ્રેસ વે થી મળશે.
આમ, ચૂંટણી પહેલા તમામ વિકાસ કાર્યોની એક બાદ એક જાહેરાતો કરાઇ રહી છે અને યુપીની જનતાને આકર્ષવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગંગા એક્સપ્રેસ વે વિશે
યોગી સરકારે ગયા વર્ષે 26 નવેમ્બરે ગંગા એક્સપ્રેસ વે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ 594 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે 36,230 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. મેરઠથી પ્રયાગરાજ સુધીના પ્રસ્તાવિત એક્સપ્રેસ વેનું નિર્માણ અદાણી એન્ટરપ્રાઈઝ અને આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ દ્વારા કરવામાં આવશે. બિડિંગ પ્રક્રિયા દ્વારા પસંદ કરાયેલી આ કંપનીઓને ગુરુવારે કેબિનેટની બેઠકમાં લીલી ઝંડી પણ મળી ગઈ હતી.
પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિકાસ માટે ગંગા એક્સપ્રેસ વે પ્રોજેક્ટને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અડધાથી વધુ એક્સપ્રેસ વે પશ્ચિમ યુપીના જિલ્લાઓમાંથી પસાર થાય છે. આ એક્સપ્રેસ વે મેરઠ, હાપુડ, બુલંદશહર, અમરોહા, સંભલ, બદાયૂ, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને રાયબરેલી સહિત યુપીના 12 જિલ્લાઓમાંથી પસાર થશે. આ ઉપરાંત આ એક્સપ્રેસ વે 519 ગામોને પણ જોડશે. જણાવી દઇએ કે આ એક્સપ્રેસ વે 6 લેનનો હશે, પરંતુ તેને વધારીને 8 કરી શકાય છે.
વડાપ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, એકવાર એક્સપ્રેસ વે સંપૂર્ણ રીતે બની જશે, તે ઉત્તર પ્રદેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે બની જશે, જે રાજ્યના પશ્ચિમ અને પૂર્વીય વિસ્તારોને જોડશે. એક્સપ્રેસ વે થી ઔદ્યોગિક વિકાસ, વ્યાપાર, કૃષિ, પર્યટન એવા વિવિધ ક્ષેત્રોમાં ફાયદો થશે અને તેનાથી સામાજિક અને આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે.
ગંગા એક્સપ્રેસ વે પર શાહજહાંપુરમાં લગભગ 3.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ બનાવવામાં આવશે. આ એરસ્ટ્રીપ એરફોર્સના એરક્રાફ્ટને ઈમરજન્સી ટેક-ઓફ અને લેન્ડિંગમાં મદદ કરશે. આ સિવાય એક્સપ્રેસ વેની સાથે ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવાનો પણ પ્રસ્તાવ છે.