21 વર્ષ બાદ આજનો દિવસ ફરી એકવાર ગૌરવ અપાવનારો દિવસ બની રહ્યો. ભારતની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નો એવોર્ડ પોતાને નામે કર્યો છે અને વિશ્વફલક પર ભારતનું માન વધાર્યું છે. 70મા મિસ યુનિવર્સ બ્યુટી પેજન્ટનું આયોજન ઇઝરાયેલમાં કરવામાં આવ્યું હતું. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી પંજાબના ચંદીગઢમાં રહેતી હરનાઝ સંધુને.
કોણ છે હરનાઝ સંધુ?
પંજાબના ચંદીગઢમાં રહેતી હરનાઝે મોડેલીંગને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું. હરનાઝે ચંદીગઢની શિવાલીક પબ્લીક સ્કુલમાંથી અભ્યાસ કર્યો છે. મોડેલીંગ અને બ્યુટી સ્પર્ધાઓમાં ભાગ લેતા લેતા હરનાઝે પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો છે. 21 વર્ષીય હરનાઝનો હાલ માસ્ટર્સનો અભ્યાસ ચાલી રહ્યો છે.
કેવી રીતે શરૂ થઇ હરનાઝની સફર
વર્ષ 2017માં કોલેજમ દરમિયાન એક કાર્યક્રમમાં હરનાઝે પ્રથમ વખત સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું હતું અને ત્યારથી શરૂ થઇ હરનાઝના સપનાની સફર. તે ઘોડે સવારીની સાથે સાથે એક્ટિંગ, ડાન્સનો શોખ ધરાવે છે. એક્ટિંગનો શોખ હોવાને કારણે જો તક મળે તો ભવિષ્યમાં ફિલ્મોમાં કામ કરવાનું પણ તેનું સ્વપ્ન છે. આપને જણાવીએ કે હરનાઝ એક શિક્ષીત પરિવારમાંથી આવે છે. તેના માતા ગાયનેકોલોજીસ્ટ અને પિતા બિઝનેસમેન છે.
- 2017થી શરૂ થયેલી સફર એક મોટા પડાવ પર આવી પહોંચી છે ત્યારે અત્યાર સુધી તેને મળેલા એવોર્ડ્સની વાત કરીએ તો,
- વર્ષ 2017માં ટાઈમ્સ ફ્રેશ ફેસ મિસ ચંદીગઢનો ખિતાબ હાંસિલ કર્યો.
- વર્ષ 2018માં મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટારનું ટાઇટલ પોતાને નામ કર્યું.
- વર્ષ 2019માં ફેમિના મિસ ઇન્ડિયા પંજાબ તરીકે હરનાઝનું નામ જાણીતું બન્યું.
- અને હવે વર્ષ 2021માં મિસ યુનિવર્સ ઇન્ડિયા તરીકે હરનાઝે સિધ્ધી હાંસિલ કરી.
ભારતને જિતાડવા હરનાઝ હતી પ્રતિબધ્ધ
હરનાઝે તેની વાતચીતમાં કહ્યું હતું, હું મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતને જિતાડવા માટે મારો જીવ રેડી દઈશ. સાથે જ તેણે કહ્યું હતું કે આનાથી ભારત અને ઇઝરાયેલના સંબંધો મજબૂત થશે. હરનાઝને માત્ર પોતાના પરિવાર કે પંજાબનું નહીં, પણ આખા દેશનું ગૌરવ બનવું હતું અને તે માટે સતત પ્રયત્ન પણ કરતી હતી, આજે તેણે તેનું આ સ્વપ્ન પૂર્ણ કર્યું છે, હરનાઝે જે વાત કહી હતી તેના ઇન્ટર્વ્યુમાં તે સાબિત કરી બતાવી.
મક્કમ મનોબળ સફળતાની સીડી છે.
17 વર્ષની ઉંમર સુધી તો હરનાઝ ખુબજ અંતર્મુખી સ્વભાવની એક શરમાળ છોકરી હતી. તેની સ્કુલમાં તેના ખુબ પાતળા શરીરને કારણે હાંસીનું પાત્ર પણ બનવું પડ્યું હતું. સતત લોકો તેની મજાક ઉડાવતા તેને કારણે થોડો સમય તે ડિપ્રેશનનો પણ શિકાર બની હતી પણ તેણે જણાવ્યું કે તેના પરિવારના સપોર્ટને કારણે તે આમાંથી બહાર આવી શકી.
અનેક અગવડો આવ્યા બાદ પણ તેના મક્કમ મનોબળે, તેના પરિવારના સહકારે તેને આજે ન માત્ર દેશમાં પણ આખા વિશ્વમાં એક આગવી ઓળખ અપાવી છે. હરનાઝને કારણે આજે ભારતને વધુ એક તક મળી છે નાઝ કરવાની. ભારતની આ દિકરીને આજે તમામ ભારતવાસી સલામ કરે છે.
મિસ યુનિવર્સના 70 વર્ષના ઈતિહાસમાં સંધુ સિવાય કોણે જિત્યો તાજ?
સુષ્મિતા સેન
સુષ્મિતા સેનનો જન્મ 19 નવેમ્બર 1975ના રોજ થયો હતો. તે એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે. તે મિસ યુનિવર્સ 1994 પેજન્ટની વિજેતા રહી છે. તેણીએ 1994 માં 18 વર્ષની ઉંમરે ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ પણ મેળવ્યો હતો. આ સ્પર્ધા જીતનાર તે પ્રથમ ભારતીય છે.
સુષ્મિતા સેન મિસ યુનિવર્સનાં ટોપ 6 ઇન્ટરવ્યુ રાઉન્ડમાં પહોંચી હતી. તે સમયે તેને પૂછવામાં આવ્યું કે સ્ત્રી હોવાનો તારો અર્થ શું છે?” આના જવાબમાં તેણે કહ્યું, “માત્ર સ્ત્રી હોવું એ ભગવાનની ભેટ છે જેની આપણે બધાએ પ્રશંસા કરવી જોઈએ. બાળક એક માતાથી જન્મે છે, જે સ્ત્રી છે. તે એક માણસને બતાવે છે કે કાળજી, શેર અને પ્રેમ શું છે. તે એક સ્ત્રી હોવાનો સાર છે.”
લારા દત્તા
લારાનો જન્મ 16 એપ્રિલ 1978ના રોજ થયો હતો. તે એક ભારતીય અભિનેત્રી, બિઝનેસવુમન છે. તે મિસ યુનિવર્સ 2000 સ્પર્ધાની વિજેતા રહી છે. તેણે 1997માં મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલનો ખિતાબ પણ જીત્યો હતો.
લારા દત્તાએ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે ફિલ્મફેર એવોર્ડ સહિત અન્ય ઘણા એવોર્ડ જીત્યા છે. તેણીએ અંદાજ (2003) થી હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. આ માટે તેને બેસ્ટ ફીમેલ ડેબ્યુટન્ટનો એવોર્ડ મળ્યો હતો.
લારા દત્તાને છેલ્લા રાઉન્ડમાં પૂછવામાં આવ્યું હતું કે શું તેણે વિરોધીઓને સમજાવવું હતું કે સૌંદર્ય સ્પર્ધાઓમાં મહિલાઓને વાંધો ઉઠાવવો ખોટું છે. આના પર લારાએ જવાબ આપ્યો – “મને લાગે છે કે મિસ યુનિવર્સ સ્પર્ધા યુવા મહિલાઓને આપણે જે ક્ષેત્રમાં જવા માંગીએ છીએ તેમાં આગળ વધવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. પછી તે ઉદ્યોગસાહસિકતા હોય, સશસ્ત્ર દળો હોય, રાજકારણ હોય. તે અમે છીએ. અમને એક તક આપે છે જે અમને મુક્ત બનાવે છે.