Listen Article
Getting your Trinity Audio player ready...
|
તારીખ 18 એપ્રિલ 2022 ના રોજ રાજધાની દિલ્હી અક્ષરધામના સર્જક પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવવામાં આવ્યો. જેમાં કુલ 8000 થી પણ અધિક ભક્તો ભાવિકો અને આદરણીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિશેષતઃ પ્રતિષ્ઠિત પત્રકાર, વિદ્વાન સંપાદક, લોકપ્રિય રાજનેતા, સન્માનિત વકીલ- ન્યાયાધીશ અને પ્રતિષ્ઠિત અધિકારી સમૂહે આ ઉત્સવનો લાભ પ્રાપ્ત કરી કૃતાર્થતા અનુભવી હતી.
“બીજાના ભલામાં આપણું ભલુ” એ પ્રમુખસ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું. લોકહિત માટે તેમણે 17000 થી અધિક ગામડામાં વિચરણ કર્યું, 2.5 લાખથી અધિક ઘરોમાં પધરામણી કરી ઘર પાવન કર્યાં, 7.5 લાખથી પણ અધિક પત્રો લખી ભક્તોના પ્રશ્નોનું સમાધાન કર્યું, 1000 થી અધિક સુશિક્ષિત યુવાનોને સાધુ કર્યા, દેશ-વિદેશના 1100થી પણ અધિક મંદિર તથા અક્ષરધામ જેવા સંસ્કૃતિનાં સ્મારકોને ભેટ આપી હતી. ઇતિહાસ જેની પ્રતીક્ષા કરી રહ્યો હતો એ યુગપ્રવર્તક ઐતિહાસિક અવસર એટલે ગઈકાલનો પ્રમુખસ્વામી મહારાજનો ભવ્ય જન્મશતાબ્દી મહોત્સવ. સાંજે 6:00 વાગ્યે અક્ષરધામ પરિસરમાં ધૂન, પ્રાર્થના બાદ સંસ્થાના વરિષ્ઠ સંતોએ ઉત્સવનો મંગલદીપ પ્રગટાવ્યો.
અક્ષરધામ પરિસર કેસરિયા રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રાંગણમાંથી અને દિલ્હીના દૂરદૂરના વિસ્તારો સુધી તેની આભા નીરખી શકાતી હતી. મહોત્સવના આરંભમાં બાળકો દ્વારા “દિવ્યમ ભવ્ય ભવ્યાતિ ભવ્યમ” એ સ્વાગત નૃત્યના તાલે વાતાવરણને દિવ્ય બનાવી દીધું. પૂજ્ય ધર્મવત્સલ સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ગુરુભક્તિના સંવાદોની ઝાંખી કરાવી, ત્યારપછી પૂજ્ય મુનિવત્સલ સ્વામી અને પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની વિશિષ્ટ કાર્યશૈલી પ્રસ્તુત કરીને પ્રકાશ પાથર્યો હતો.
પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની અહંશૂન્યતા વિષે અનુભવેલા પ્રસંગોનો અદ્ભુત લાભ આપ્યો. પ્રમુખસ્વામી મહારાજે કરેલી સેવાની ગાથા ગાતા સંવાદો અને નૃત્યોની સાંકળ પણ ઉર્જાપ્રેરક હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના મુખેથી વહેતી અક્ષરધામની અદ્ભુત ગરિમાગંગાએ સૌને વિશેષ આનંદથી છલકાવી દીધા.
પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ પ્રેરક વર્ષા વરસાવી પ્રમુખસ્વામી મહારાજના જન્મોત્સવ પર્વે સ્વામીનાં ચરણોમાં અહોભાવપૂર્વક વંદના કરી. કાર્યક્રમના અંતમાં સુરત ખાતે બિરાજતા પરમ પૂજ્ય મહંતસ્વામીના વિશાળ સ્ક્રીન પર દર્શન થયાં.
મહંતસ્વામી મહારાજે આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું, “પ્રમુખસ્વામી મહારાજ મનથી અલિપ્ત હતા. તેઓ સદા માનતા કે બધું ભગવાન અને ગુરુ જ કરે છે અને એમના આશીર્વાદથી જ બધું થાય છે.”
તત્પશ્ચાત્ વિશાળ સ્ક્રીન પર જ પ્રમુખસ્વામી મહારાજના અક્ષરધામના ઉદ્ઘાટન સમયના વચનોની સ્મૃતિ કરવામાં આવી તેમાં તેઓએ જણાવ્યુ હતું કે “અમે આ જે અક્ષરધામ બનાવ્યું છે એ કોઈને દેખાવ કરવા કે સ્પર્ધા માટે નથી કર્યું. ગુરુ યોગીજી મહારાજની આજ્ઞા અને ભગવાન સ્વામિનારાયણને અંજલિ આપવા બધાના કલ્યાણ માટે કર્યું છે.” આમ પ્રમુખસ્વામી મહારાજે આશીર્વાદ આપી સૌને અલંકૃત કર્યા હતાં.
અંતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભાવસભર વંદના કરતું નૃત્ય રજુ થયુ અને મહાપ્રસાદ લઈ સૌ વિદાય થયા.