વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મોટી જાહેરાત : “યુવા નવનિર્માણ સેના” નામના સંગઠનની કરી જાહેરાત
Listen Article
Getting your Trinity Audio player ready...
|
જેલમાંથી જામીન પર છૂટેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ બીજા જ દિવસે એક મોટી જાહેરાત કરી છે. યુવરાજસિંહ જાડેજાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે. તેમણે કહ્યું કે સંગઠન, સમિતિ કે કોઈ પક્ષ કહેશે બાદમાં તેઓ ચૂંટણી લડવાનો નિર્ણય કરશે. તેમણે કહ્યું કે યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે મને લાગશે તો ચૂંટણી લડશે. આ સાથે જ યુવરાજસિંહ જાડેજાએ નવા સંગઠનની જાહેરાત કરી છે.
યુવરાજસિંહે નવા સંગઠનની જાહેરાત કરી છે. ‘યુવા નવનિર્માણ સેના’ નામના સંગઠનની જાહેરાત કરી છે.સરકાર સામે સવાલ ઉઠાવવા માટેનું આ બિન રાજકીય સંગઠન રહેશે તેવો યુવરાજસિંહે દાવો કર્યો છે. તેમણે કહ્યું કે શિક્ષિત યુવાનોના અધિકાર માટે યુવા નવનિર્માણ સેના કામ કરશે. તેમણે કહ્યું કે યુવાનોના હક્ક, હિત અને અધિકાર માટે કામ કરતો રહ્યો છું અને આગળ પણ કરતો રહીશ.
યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ AAP છોડે તેવા સંકેત આપ્યા છે. યુવરાજસિંહે સૂચક નિવેદન આપતા કહ્યું કે, યુવાનોની લડાઇને રાજકીય રંગ ન આપવો જોઇએ. લોકોના પ્રશ્નોની યોગ્ય સ્તરે રજૂઆત થવી જોઇએ. જોકે તેમણે એમ પણ કહ્યું છે કે, કોઈપણ પાર્ટી છોડવાનો પ્રશ્ન નથી. યુવાનોના હિત માટે હું લડ્યો છું. મારી ભૂમિકા છે તે સૌ જાણે છે. યુવા નેતા તરીકે જ દર્શાવાયો છે.
તેમણે કહ્યું કે તેમનું આ નવું સંગઠન યુવા નવનિર્માણ સેના રાજ્યસ્તરે તેમજ જિલ્લા અને તાલુકા સ્તરે શિક્ષિત યુવાનોના હક્ક અને અધિકાર માટે કામ કરશે. આ સંગઠન પહેલા વિનંતી સાથે સરકાર સમક્ષ રજૂઆત કરશે ત્યારબાદ આવેદન આપીને યુવાનોના હક્ક માટે માંગણી કરશે. જો કે એક બાજુ ચૂંટણી લડવાની વાત કરી તો બીજી બાજુ આ નવું સંગઠન બિનરાજકીય હોવાની પણ તેમણે વાત કરી છે.
પોલીસ પર હુમલા અંગે યુવરાજસિંહે કહ્યું કે, હાલ અમે બહાર આવીને ઘટનાક્રમ જોયો છે, કોઇને પણ અમારો કોઈને મારવાનો ઇરાદો ન હતો. અમે ન્યાયિક પ્રક્રિયાથી જવાબ આપીશું.
એલઆરડી પરીક્ષા અંગે યુવરાજસિંહે કહ્યું કે, નાની મોટી ચિટિંગોના મામલા મને મળ્યા છે, ક્લાસરૂમના મામલા મળ્યા છે. અમે સરકારમાં હસમુખ પટેલ અધિકારીને રજૂઆત કરવાના છીએ. જેનાથી સત્ય બહાર આવી શકે છે. કોઈ જગ્યાએ મોટી ગેરરીતિનો મામલો અમારી સુધી પહોંચ્યો નથી. ઇનપુટ મળી રહ્યા છે તેને ચકાસી રહ્યા છીએ. હાલ ગેરરીતિ સામે આવી તે સામાન્ય ચિટિંગ સામે આવી છે. મોટી ગેરરીતિ, પેપર લીકની અમારી પાસે માહિતી આવી નથી. ઈ-મેઇલ અને નંબરના માધ્યમથી અમને માહિતી પહોંચી છે. વાત વર્ગ અને વિદ્યાર્થીની પુષ્ટી કર્યા બાદ જ ચિટિંગની વાત જાહેર કરવામાં આવે છે.
યુવરાજસિંહે કહ્યું કે, નિર્માણનું મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોની વેદનાને વાચા આપવી. યુવાન મત અધિકાર ધરાવે છે. આ બિન રાજકીય રહેશે. આ મુદ્દાનું રાજકારણ ન થાય તે માટે નિર્માણ સેનાનું ગઠન કર્યું છે. તમામ પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપને સાથે રાખીને યુવાનોની વેદનાને વાચા આપીશું. હાલ પ્રશ્નો છે તે સવાલ હંમેશા સત્તા પક્ષ સામે હોય છે. યુવા નવ નિર્માણ હંમેશા ઉજાગર કરતા રહીશું. યુવાનો જ આને લીડ કરશે. જિલ્લા, તાલુકા અને ગામડા લેવલે કન્વીનર હશે. જનતાના જે સામાન્ય પ્રશ્નો હશે તેને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂ કરી શકીએ. તમામને ક્યાંકને ક્યાંક મદદ રૂપ બની શકીએ.
યુવરાજસિંહ જાડેજાની આ જાહેરાત અંગે કોંગ્રેસના મીડિયા કન્વીનર હેમાંગ રાવલે કહ્યું કે યુવરાજસિંહે રાજ્યના 40 લાખ બેરોજગારોનો અવાજ ઉઠાવ્યો હતો. આ સાથે હેમાંગ રાવલે યુવરાજસિંહ જાડેજાને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપી દીધું અને કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીના જુઠ્ઠાણાંઓને ખુલ્લા પાડવા કહ્યું. આ સાથે હેમાંગ રાવલે કહ્યું કે આજે 17 એપ્રિલે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય ખાતે 300 થી પણ વધુ AAP કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે.
યુવરાજસિંહ જાડેજાની આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે જે રીતે યુવરાજસિંહ લડાઈ લડી રહ્યાં છે અને જે રીતે ગુજરાતમાં યુવાનોને અન્યાય થઇ રહ્યો છે, ત્યારે સરકાર આરોપ લગાવી રહી હતી કે આ રાજકીય આંદોલન છે, માટે તેમણે આજે જાહેરાત કરી છે કે આ સંગઠન બિનરાજકીય છે. યોગેશ જાદવાણીએ કહ્યું કે દરેક યુવાનને ચૂંટણી લડવાનો અધિકાર છે.