પરીક્ષા પહેલા જ પરિણામ આવી રહ્યું છે કે શું? કોંગ્રેસની ડૂબતી નૈયાને બચાવવી લાગી રહી છે મુશ્કેલ …
Listen Article
Getting your Trinity Audio player ready...
|
27 27 વર્ષથી ગુજરાતની ધરા પર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જે રીતે લાંબા સમયથી ગુજરાતની જનતા એકધારા પરિણામો બીજેપી તરફી આપી રહી છે તે બીજેપી માટે આત્મવિશ્વાસ વધારનારા બેશક બની રહે છે, પણ સાથે સાથે ગુજરાતમાં બે મુખ્ય પક્ષોમાંનો ભાજપ સાથેનો બીજા પક્ષ એટલે કે કોંગ્રેસ પક્ષ માટે વિચાર માંગી લેતા પણ બને છે.
પણ આજે વાત ફરી એજ કરવી છે કે શું કોંગ્રેસ તેની નિષ્ફળતાનું મૂલ્યાંકન કરે છે ખરી? અત્યાર સુધીની ગતિવિધી જોતા તેનો જવાબ ના માં મળવાની સંભાવના વધુ છે. 27 વર્ષ એટલે લગભગ ત્રીજુ દશક થવા આવ્યું પણ હજુ આ કોંગ્રેસની નિષ્ફળતા, તેને વારંવાર મળતો જાકારો, તેને મળતી હાર, કોંગ્રેસની ડૂબતી નૈયાનો લગીરે ફરક કોંગ્રેસને પડતો હોય તેવું લાગતું જ નથી.
છેલ્લા કેટલાય સમયથી ગુજરાત કોંગ્રેસની ખસ્તા થતી જતી હાલત માટે જવાબદાર કારણો શું હોઇ શકે તેને લઇને અનેક વખત અનેક પ્લેટફોર્મ પર ચર્ચાઓ થઇ ચૂકી છે અને થતી રહે છે અને કદાચ કોંગ્રેસનો આજ મિજાજ રહ્યો તો થયા પણ કરશે. પણ આનું મંથન કોંગ્રેસ કદાચ કરતી નથી અને હજી પણ ભૂતકાળમાં જે કોંગ્રેસે શાસન કર્યું છે તે ઇતિહાસમાંથી, તેના પ્રભાવમાંથી નીકળી શકી નથી – એટલે તેનો અહંકાર ઓછો થતો નથી તેમ લાગે છે.
2022ની વિધાનસભા ચૂંટણી વાતાવરણમાં અનુભવાય છે. ભાજપ તો તેની ચૂંટણીની તૈયારીમાં ક્યારનું લાગી ગયું છે અને આ તરફ કોંગ્રેસમાં વિવાદો શમવાનું નામ નથી લઇ રહ્યા. કોંગ્રેસને વરેલા, કોંગ્રેસના પાયાના કાર્યકરો, કોંગ્રેસને ગુજરાતમાં ધબકતી રાખવામાં જે પ્રતિનિધીઓનો ફાળો છે તેવા લોકો કોંગ્રેસથી નારાજ થવા લાગ્યા, પોતાની નારાજગી વ્યક્ત કરવા લાગ્યા પણ પરિણામ શુંં આવ્યું? શૂન્ય….. એ નારાજગીને ખાળવાનો ક્યાં તો પ્રયત્ન ન થયો ક્યાં તો કોંગ્રેસ નેતૃત્વને તેની ગંભીરતા ના લાગી અને એક બાદ એક જૂના જોગીઓ કંટાળીને, નારાજ થઇને કોંગ્રેસને છોડવા લાગ્યા.
કોઇ પણ જાય કોંગ્રેસને ફરક પડતો નથી.
ગુજરાત કોંગ્રેસમાં એક બાદ એક નારાજીનામા પડ્યા છતા પણ કોંગ્રેસ નેતૃત્વને એનાથી જાણે કોઇ ફરક જ પડતો નથી, કોઇપણ રાજીનામા બાદ એકજ સૂર કે જેને જઉ હોય એ જાય – કોંગ્રેસને ફરક પડતો નથી. કદાચ આ વાક્યને લોકો જુદા પરિપ્રેક્ષ્યમાં જોવા લાગ્યા છે કે વાત સાચી છે કોઇ પણ જાય કોંગ્રેસને ફરક પડતો નથી કારણકે કોઇના રોકાવાથી પણ કોંગ્રેસ પરિણામોમાં કંઇ ઉકાળી શકે તેમ લાગતું નથી અને કદાચ કોંગ્રેસ નેતૃત્વએ પણ આ વાત સ્વીકારી લીધી છે.
કોંગ્રેસે શું નથી આપ્યું?
રાજીનામા બાદ કાયમ કહેવાતું આ નિવેદન – કે કોંગ્રેસે તેમને આપવામાં બાકી શું રાખ્યું કે કે જે તે નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી દીધો… કદાચ એનો જવાબ પણ કોંગ્રેસ નેતૃત્વ પાસે જ હશે કે કદાત જીત, જીત માટેના પ્રયાસો અને પરિણામોમાં જીત મેળવવાની ગુમાવી ચૂકેલી જીજીવિષા કાફી છે કોઇની પણ નારાજગી માટે..
રાજ્યગુરૂ પણ નારાજ, થયા આપના
કેટ કેટલા લોકોએ છેલ્લા સમયમાં કોંગ્રસ છોડી તેની યાદી કરવા બેસીએ તો ઘણી લાંબી થઇ જાય તેમ છે. પણ ગુરુવારે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને વશરામ સાગઠિયાએ પણ કોંગ્રેસને અલવિદા કરીને આમ આદમી પાર્ટી સાથે ભળી ગયા છે. લાંબા સમયથી તેઓ પણ નારાજ હતા અને આંતરિક જૂથવાદ અને આંતરિક પ્રશ્નોની રજૂઆત પણ તેમણે કરી હતી પણ તેનું નિરાકરણ ન આવ્યું અને તેમણે છેવટે પાર્ટી છોડવાનો નિર્ધાર કરી જ લીધો.
ઇન્દ્રનીલ રાજ્યગુરુ એટલે સૌરાષ્ટ્રના રાજકારણના શક્તિશાળી નામોમાંનું એક નામ. તેમાં પણ શક્તિસિંહ ગોહીલના નજીકના તેમને માનવામાં આવે છે. તેમના જવાથી આપને કેટલો ફાયદો થશે તે તો આવનારો સમય બતાવશે પણ હા નારાજગીને કારણે કોંગ્રેસને બેશક નુકસાન જશે.
વશરામ સાગઠીયા પણ આપમાં જોડાયા
વશરામ સાગઠીયાએ પણ કોંગ્રેસને અલવિદા કરીને આપનો સાથ પસંદ કરી લીધો છે. રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર તરીકે કાર્યરત એવા વશરામ સાગઠીયા પણ કોંગ્રેસની નિતી રીતીથી નારાજ હતા અને તેમણે પણ કોંગ્રેસનો હાથ અને સાથ છોડી જ દીધો. સૌરાષ્ટ્રના રાજકારણમાં કોંગ્રેસ માટે આ નુકસાનકારક બેશક સાબીત થઇ શકે છે.
કામિનીબા રાઠોડે આપ્યું રાજીનામુ
દહેગામ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે પણ ગુરૂવારે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે, એ કયા પક્ષમાં જોડાશે તે તો નજીકના સમયમાં ખ્યાલ આવશે પણ આ રીતે તેમનું પણ કોંગ્રેસમાંથી નીકળવું એ કોંગ્રેસ માટે વિચારણાનો નવો એક મુદ્દો પૂરો પાડે છે. એ વાત અલગ છે કે હજૂ પણ કોંગ્રેસ વિચારે તેવી દૂર દૂર સુધી કોઇ સંભાવનાઓ દેખાતી નથી.
હાર્દિક પણ કતારમાં !
મંગળવારે હાર્દિક પટેલને સુપ્રીમમાંથી ચૂંટણી લડવાની મંજૂરી મળી જવી અને ત્યારબાદની પ્રતિક્રિયામાં હાર્દિકના બદલાયેલા સૂર સ્પષ્ટ સંકેત આપે છે કે હાર્દિક પણ કોંગ્રેસથી નારાજ છે અને ગમે ત્યારે એ જાન પણ જોડાશે એ નક્કી દેખાઇ રહ્યું છે.
જગદીશ ઠાકોરે કહ્યું હતું કે હાર્દિક પાસેથી જવાબ લેવામાં આવશે… પણ જગદીશભાઇ આટલા અનુભવે પણ નથી સમજતા કે તેઓ વિચાર કરે ત્યાં સુધીમાં તો આખો ખેલ રચાઇ જાય છે, અને તેમના ફાળે અહંકારી નિવેદન આપવા સિવાય બાકી કંઇ જ રહેતું નથી.
સત્તા વિહોણી કોંગ્રેસ આમને આમ હવે વિપક્ષનું પદ પણ ગુમાવશે તેમ લાગી રહ્યું છે….