Listen Article
Getting your Trinity Audio player ready...
|
આજે પારસીઓનું નવું વર્ષ છે. પારસી સમુદાય પોતાની પરંપરાઓ સાથે જોડાયેલા છે. પારસી સમુદાય માટે નવરોજ ખૂબ આસ્થાનો વિષય છે. પારસી નવું વર્ષ જમશેદી નવરોઝ, નવરોઝ, પતેતી અને ખોરદાદ સાલ તરીકે પણ ઓળખાય છે. પારસીઓ માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે. આ તહેવાર વર્ષમાં બે વાર 16 ઓગસ્ટ અને 21 માર્ચના રોજ ઉજવાય છે.
નવરોઝનો ઇતિહાસ
ત્રણ હજાર વર્ષ પહેલાં ઈરાનમાં શાહ જમદેશ દ્વારા સિંહાસન ગ્રહણ કરવામાં આવ્યું હતું. જેને પારસી સમુદાયમાં નવરોઝ કહેવાય છે. સમય જતાં જરથુસ્ત્ર વંશીયોએ આ દિવસને નવા વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. ઈરાન, પાકિસ્તાન, ભારત, તાજીકિસ્તાન, ઈરાક, લેબનોન, બહેરીનમાં પારસીઓ નવા વર્ષ નવરોઝ ઉજવે છે.
પારસી સમુદાયમાં લાંબા સમયથી નવરોજનો તહેવાર ઉજવવાની પરંપરા ચાલી રહી છે. આ દિવસે જરથુસ્ત્રની તસવીર, મીણબત્તી, કાચ, સુગંધિત ધૂપ લાકડીઓ, ખાંડ, સિક્કા જેવી પવિત્ર વસ્તુઓ એક જગ્યાએ રાખવામાં આવે છે. પારસી સમુદાયમાં માન્યતા છે કે આવું કરવાથી પરિવારમાં સુખ -સમૃદ્ધિ વધે છે. નવરોજના દિવસે પરિવારના તમામ સભ્યો સાથે મળીને પ્રાર્થના સ્થળોએ જાય છે. ત્યારબાદ પુજારીનો આભાર માનતી વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસે પવિત્ર અગ્નિમાં ચંદન અર્પણ કરવાની પરંપરા પણ છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં પારસી સમુદાય વસવાટ કરે છે. જ્યાં આ ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને ભેટ અને શુભેચ્છાઓ આપે છે. તેઓ આ દિવસે ઘરની સફાઈ કરી સજાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પારસી નવા વર્ષ-નવરોઝના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી હતી અને દરેકને સુખ અને સ્વાસ્થ્યની કામના કરી હતી. PM મોદીએ ટ્વિટર પર કહ્યું, “આ નવરોઝ અમે પ્રાર્થના કરીએ છીએ કે આવનારું વર્ષ દરેકના જીવનમાં ખુશીઓ અને સારું સ્વાસ્થ્ય લાવે. તમામ આકાંક્ષાઓ પૂર્ણ થાય અને ચારે બાજુ સમૃદ્ધિ આવે. નવરોઝની શુભકામનાઓ!”
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ નવરોઝ મુબારક પાઠવતું ટવીટ કર્યું છે અને લખ્યું છે કે, નવરોઝ મુબારક! મારા પારસી ભાઈઓ અને બહેનોને નવ વર્ષની શુભેચ્છા પાઠવું છું.આવનારું વર્ષ સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યથી ભરેલું રહે તેવી પ્રાર્થના.રાજ્યના વિકાસમાં પારસી સમુદાયનો ફાળો અનન્ય છે,જેને ગુજરાત ક્યારેય ભૂલશે નહીં.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે પણ નવરોઝની શુભેચ્છાઓ પાઠવી છે.