આંધ્રપ્રદેશના પૂર્વ રાજ્યપાલ કુમુદબેન જોશીનું નિધન થયું. પૂર્વ રાજ્યપાલ કુમુદબેન લાંબી માંદગી બાદ નવસારીના ધનોરી ગામે પોતાના ઘરે નિધન થયુ હતુ. કુમુદબેને 88 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા 2 વર્ષથી પેરાલિસિસને લીધે પથારીવશ હતા. કુમુદબેન કોંગ્રેસની સરકારમાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન પણ રહ્યા હતા.
ગત મહિનાઓમાં બુલેટ ટ્રેન પ્રોજેકટના સંપાદન મુદ્દે પણ કુમુંદબેને મહત્વની ભૂમિકા ભજવી હતી. પૂર્વ રાજ્યપાલ અને કોંગી આગેવાનના નિધનથી ગણદેવી સહિત કોંગ્રેસીઓમાં શોકની લાગણી ફેલાઇ છે.
કુમુદબેન આજીવન અપરિણીત રહ્યા હતા. તેમની સાદગી અને નખશિખ પ્રામાણિકતાથી તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા. કુમુદબેન ઇન્દિરા ગાંધીને પોતાના રોલ મોડેલ માનતા હતા. તેઓ 1985ની સાલમાં આંધ્રપ્રદેશનાં રાજ્યપાલ બની ચૂક્યાં હતા. તેમનો કાર્યકાળ 26મી નવેમ્બર 1985થી 7 ફેબ્રુઆરી 1990 સુધીનો હતો.
મહત્વનું છે કે રાજ્યપાલ બનનારા પ્રથમ ગુજરાતી મહિલાનું ગૌરવ કુમુદબેન જોશીના નામે છે. તેઓ 26 નવેમ્બર 1985થી 7 ફેબ્રુઆરી 1990 સુધી આંધ્રપ્રદેશનાં બીજા રાજ્યપાલ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ બન્યાં હતાં.
આંધ્રપ્રદેશમાં રાજ્યપાલ બન્યા બાદ ઈસ્ટ ગોદાવરી અને વેસ્ટ ગોદાવરી ડિસ્ટ્રિક્ટમાં વાવાઝોડાને લઈને ખૂબ જ ખાનાખરાબીઓ થતી હતી. જેને લઈને શેલ્ટર હોમ બનાવ્યાં હતાં. આંધ્રપ્રદેશની દેવદાસીની પ્રથાનો પ્રશ્ન દિલ્હી સુધી પહોંચ્યો હતો. દરમિયાન કેટલાકનાં લગ્ન પણ રાજભવનમાં કરાવ્યાં હતાં. કુમુદબેન બોલ્ડ નિર્ણય લેવામાં જરાં પણ ખચકાતાં નહોતાં.