વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસ પર પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે.
આજે વડાપ્રધાનના કાર્યક્રમમાં 4 લાખ લોકો અભિવાદન આપવામાં આવી રહ્યું છે. તેમના આગમનને લઈને અમદાવાદમાં ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે. માત્ર ભાજપના કાર્યકરોની બસ અને ગાડીને જ જવા દેવામાં આવે છે. એરપોર્ટ જનારા મુસાફરોને ટિકિટ જોઈને જવા દેવાય છે. અન્ય લોકોને બીજા રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. લોકોની ભીડ એરપોર્ટ સર્કલ પર વડાપ્રધાનનું સ્વાગત કરવા વધી રહી છે. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયુર ડાન્સ, કુચીપુડી, ભારતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થયું ત્યારે તેમનો ભાવભર્યો સત્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી એ કર્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ સચિવો અને મુલ્કી અધિકારીઓએ પણ પ્રધાનમંત્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.