હાર્દિક પટેલે પાટીદાર સમાજના આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં હાર્દિક પટેલે નરેશ પટેલને જણાવ્યું છે કે, પાટીદાર સમાજના હજારો યુવાનો સરકારની તાનાશાહીનો ભોગ બન્યાં છે. હું આપને રાજકીય જીવનમાં જોડાવા માટે કોંગ્રેસના કાર્યકર તરીકે પત્ર લખીને અપીલ કરી રહ્યો છું.
હાર્દિક પટેલે નરેશ પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સરકારની તાનાશાહીનો સૌથી વધુ ભોગ પાટીદાર સમાજના હજારો યુવાનો બન્યા છે. બીજી તરફ પાટીદાર સમાજના હજારો પરિવારો પણ ખેતી અને વ્યવસાયમાં અનેક સમસ્યાનો સામનો કરે છે. હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે વર્તમાન સરકાર અન્યાય કરતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પાટીદાર ખેડૂત અને વેપારીઓને ભાજપ સરકાર પરેશાન કરતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો તથા હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલા કેસનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. હાર્દિક પટેલે સત્તા પક્ષ પર પૈસા અને સરકારી તંત્રના જોરે બેફામ બન્યો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
હાર્દિક પટેલે પત્રમાં શું લખ્યું?
હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી એક જ પક્ષનું શાસન છે. આ પક્ષની તાનાશાહી પ્રવૃત્તિથી આપણું ગરવી ગુજરાત છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ અન્યાયી પ્રથાઓ ભોગવી રહ્યું છે. કારણ એ પણ છે કે સત્તાપક્ષ પૈસા અને સરકારી તંત્રના જોરે બેફામ બની ગયો છે.સરકારની તાનાશાહીનો સૌથી વધુ ભોગ આપણા પાટીદાર સમાજના હજારો યુવાન બન્યા છે. પાટીદાર સમાજના હજારો પરિવાર ખેતી અને વ્યવસાયમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તમે સારી રીતે જાણો છો કે કેવી રીતે આપણા ખેડૂતોની માગણીઓ સંતોષવામાં આવતી નથી અને શાસક પક્ષના નેતાઓ દ્વારા તમામ સ્તરે આપણા વેપારીઓને કેવી રીતે હેરાન કરવામાં આવે છે.
આ અન્યાયી વાતાવરણમાં હું તમને આગળ આવવા અને સક્રિય રાજકીય જીવનમાં જોડાવા માટે અપીલ કરું છું. 2015થી મારા જેવા યુવાનો અન્યાય સામે જંગ લડવા નીકળ્યા છે, તેવા યુવાનોને તમારું આ પગલું નવી આશા આપશે. આજે પણ હજારો પાટીદાર યુવાનો આંદોલન સમયના ખોટા કેસોથી પીડાય છે. પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે. હું તમને માત્ર વિશાળ અને મજબૂત પાટીદાર સમાજના યુવા સભ્ય તરીકે નહીં, પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર તરીકે પણ પત્ર લખી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે તમે કોઈપણ બાહ્ય પરિબળોને ભૂલી જાઓ અને પાટીદાર યુવાનો પર વિશ્વાસ રાખીને રાજ્યનાં હિત અને અસ્તિત્વની લડાઈના શ્રીગણેશ કરો.
આ પત્ર અંગે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે,પત્રની જાણ મને હજુ હમણા જ થઈ છે. હાર્દિકભાઈ સાથે વાત કરવાની બાકી છે. પત્રનું માધ્યમ મને ખબર નથી.વાત થાય પછી જ હું પત્ર અંગે કહી શકું.જ્યારે કોઈ રાજકીય પક્ષમાં જોડવાવાની વાત છે ત્યારે ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહિ બને. રાજકારણમાં જોડાવું તે મારો અંગત નિર્ણય હશે. ચૂંટણી નજીક હોય અને ત્યારે રાજકારણમાં જોડવાનો યોગ્ય સમય બાબતે કોઈ સ્પષ્ટતા નહિ સમય આવે યોગ્ય નિણર્ય કરશે. નરેશ પટેલે કોંગ્રેસની મુખ્યમંત્રી તરીકેની વાતને લઈને કહ્યું કે લોકોએ જે બોલવું હોય તે બોલી શકે અને મારા પાસે આવી કોઈ વાત આવી નથી.
નોંધનીય છે કે, પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે નવી રણનીતિને લઈ હોટલમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે જો 23 માર્ચ પહેલાં પાટીદારો સામેના કેસો પાછા નહીં ખેંચવામાં આવે તો ફરી પાટીદાર આંદોલન થશે.લાંબા સમય બાદ સરકાર સમક્ષ વાત પહોંચાડવા માગું છું. સરકારને વિનંતી છે કે ચેતવણી જે સમજવું હોય એ સમજે. નેતા કે પક્ષના આગેવાન તરીકે નહીં, પણ સમાજના આંદોલનકારી તરીકે હું આ કહેવા માગું છું. આંદોલન માત્ર પાટીદાર સમાજનું નહોતું, તમામ સમાજના લોકોને આંદોલનના લાભ મળ્યા છે. માર્ચ-2017 બાદ આનંદીબેન પટેલે કેસ પરત ખેંચવા કહ્યું હતું, કેસ પરત ખેંચવા સમાજના અગ્રણીઓ સાથે વાત કરી હતી. આનંદીબહેને 140 કેસ પરત ખેંચ્યા હતા.